પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭
રમાએ પોતાના પ્રિયતમને લખેલું પત્ર.

પ્રકરણ ૮ મું.

રમાએ પોતાના પ્રિયતમને લખેલું પત્ર.

“છેવટ આ દહાડો આવ્યો !–હું જ તારાથી મારી મેળે વિખૂટી પડુ છું ! આવી પ્રેમભ્રષ્ટ હું તને છેલી વારનું પ્રેમાલિંગન આપી રામરામ કહું છું. આ અક્ષરો તારા વાચવામાં આવે ત્યારથી મને મુવેલી જાણજે. તું મારૂં જીવન છે, મારો પ્રાણ છે, તારાથી જુદી થઈ તે મોઈજ ! પ્રિયતમ ! પ્રાણેશ ! મારા હૃદયની પૂજ્ય મૂર્તિ ! જો તારો મારા ઉપર પ્રેમ સત્ય હોય, હજી પણ તારા અંતર્‌માં મારા ઉપર કોઈ દયા હોય, તો મારી શોધ કરીશ નહિ. તારા મંત્ર તંત્રના બલથી તું મારું સ્થાન જાણી શકે તો પણ મને રહેવા દેજે, આપણા બાલકને ઉગરવા દેજે. ગુલાબસિંહ ! હું એ બાલકની તારા ઉપર ભક્તિ થાય, તને તે પોતાનો પૂજ્ય પિતા ગણે, એવી રીતે ઉછેરીશ, જે યોનિમાં તું ભટકે છે તેમાંથી તારો ઉદ્ધાર કરવા એનું કોમલ હૃદય સર્વદા ઈચ્છા કરશે. અરે ! જરૂર, આટલા બાલકને જવા દે; મને તો આ પ્રકારે આજ સુધી છેતરી, મારો અવતાર બગાડ્યો: માણસ ન છતાં માણસ થઈ મને તેં આટલે સુધી આણી; પણ હવે આ બાલકને તો છોડ; બાલકો તો દેવ જેવાં જાણવાં, એમની સંભાળ પરમેશ્વર પોતે રાખે છે, એમની વ્હારે ધાય છે. શા માટે આ પ્રમાણે જાઉ છું તે કહું ? ના નહિ કહું; તારા ભયંકર જ્ઞાનના પ્રભાવે તું જાણી શકશે, મારે હાથે હું લખી શકતી નથી; પ્રેમમાં શંકા પડવી એજ પાપ છે, પણ પ્રેમજ મને એ શંકાનાં કારણ લખતાં અટકાવે છે. તારા ભયકારક સામર્થ્યથીજ ત્રાસ પામી હું આપણા બાલકને લેઈને નાસું છું; ત્યારે પણ મને એટલો સંતોષ વળે છે કે તારામાં સામાનું હૃદય યથાર્થ જાણવા જેટલી શક્તિ છે. તું જાણે છે જ કે આ બધુ લખનાર પુત્રવત્સલ માતા છે, પતિભ્રષ્ટ ભાર્યા નથી. તારા જ્ઞાનપ્રભાવમાં પાપ છે ? પાપ હોય તો દુઃખ થવું જોઈએ અને એ દુઃખમાં તારી સભાગી થાઉં, તને આશ્વાસન આપી શકું, એમાં કેટલો આનંદ ! પણ આ બાલક, આ પશુ, એનો આધાર મારા વિના કોના ઉપર ! એટલા નિર્દોષ જીવને હું તારા હાથમાંથી ઝુંટાવી લઉં છું. આવું લખવામાં મારી ભૂલ થતી હોય તો ક્ષમા કરજે; જો, લખતાં લખતાં પણ હું પગે પડી તને નમન કરી ક્ષમા યાચું છું.