તરંગ ૭.
પ્રકરણ ૧ લું.
પ્રકૃતિનો અપરાજય.
ભારતભૂમિનું ભાગ્ય બદલાયું હતું. કાલચક્રના પરિક્રપણમાં ભારત હવે ઉતરતે આટે ગરબડતો હતો, જે કુરુક્ષેત્રમાં ભારતનું ભાવિ અનેકવાર રોળાયું છે ત્યાં હવે ભારત ઉપર અંધકારનો વિજય થયો હતો. કનોજના જયચંદની કન્યા સંયોગતા સાક્ષાત્ મહાકાલીરૂપ ભૂભાર ઉતારવાનેજ અવતરી હોય તેમ રજપૂત કુલના મુકુટને ધૂળ ભેગાં કરી, એકના એક રાજસિંહને પોતાના પાળેલા શ્વાન જેવો બનાવી દેઈ તૃપ્ત થઈ હતી. જે પરાક્રમ અને સંપ આખા આર્યાવર્તને આજ પણ પરમ સુખમાં સાચવી શક્યા હોત તેનો વિનાશ એક સંયોગતાનો હાથ ઝાલવામાં થઈ ગયો હતો; પૃથુરાજ અને સંયોગતાના સંયોગમાં ભારતભૂમિના ભાગ્યનો વિયોગ થઈ ચૂક્યો હતો. રણવીર, મહાધીર, પૃથુરાયે શા માટે આમ થવા દીધું ? પ્રેમને આધીન થઈને તેણે ચંદવરદાયીનાં વચનનો આદર ન કર્યો, મહાવીરની ભવિષ્ય વાણી ઉપર ધ્યાન ન આપ્યું — સંયોગતાએ તે સિંહને પાંજરા બહાર જવા દીધોજ નહિ. આ તે પ્રેમ કે કાળો કેર ! ચંડિકાએ પોતાનું ખપ્પર ભર્યું ! પરસ્પરના દ્વેષ અને કલહને સમગ્ર દેશના ભાવિને અર્થે તજી ન શકનાર જયચંદ તેં રાજસૂયયજ્ઞ કરી પૃથુરાયનું અપમાન કરી મ્લેચ્છોનો પક્ષ કરતાં ભારતને કેવી વિટંબનામાં નાખ્યો છે તે તારો આત્માં જાણે છે !
બંદો જયચંદને મળતો રહેતો હતો, જયચંદની સલાહથી, પોતે સામા પક્ષમાં સામીલ નહિ થાય એવી અનુમતિથી, પશ્ચિમ દિશામાં વાદળાંની પેઠે ચઢી આવતાં મુસલમાનનાં ટોળાંનો વર્ષાદ ભારતધરા ઉપર પડ્યો. પૃથુરાજ જાગ્યો; પણ વ્યર્થ ! સંયોગતાએ રજપૂતાણીનું પરાક્રમ બતાવ્યું પણુ બહુ મોડું ! ચંદવરદાયી, પૃથુરાજા, બધા પરસ્વાધીન થઈ ગયા, શહાબુદ્દીનના કેદખાનામાં પડ્યા. દિલ્હીમાં જ્યાં જોઈએ ત્યાં મુસલમાન અને મુસલમાનજ વ્યાપી ગયા, આપણે આર્યભૂમિનો શાન્ત સમય તજી આ ઘોર વિપ્લવના ભયંકર સમયમાં આવવું જોઈએ. આપણી વાર્તાનો સંબંધ હવે તેની સાથે છે, તે વિપ્લવમાં