“હું તને કહીશ, તું દીવાનસાહેબના ખાસ મિત્ર મીરસાહેબને ઓળખે છે ? એમને રજાચીઠી કરી આપવાનો અધિકાર છે, ને પૈસાનો લોભ છે.”
“ત્યારે તો ઠીક.”
“મેં મારે જરૂરની ચીઠીઓ મેળવી લીધી છે, તારે માટે પણ લાવીશ.”
“ત્યારે તારી પાસે બહુ પૈસા જણાય છે !”
“તેની તારે શી ફીકર છે ? આપણ સર્વને ચાલે તેટલા તો છેજ.”
આટલી વાત થતામાં લાલાજી ઉઠ્યો અને હાથના ઈશારાથી બંદાને પાસેના ઓરડામાં લઈ ગયો. તેણે તેને રજાની ચીઠીમાં લખ્યા પ્રમાણે વેષ વગેરે બદલવા વિષેની હકીકત ટુંકામાં સમજાવી; ને પછી કહ્યું :—
“હું તને જે મદદ કરું છું તેના બદલામાં તું મારા ઉપર એક મેહેરબાની કર. તારા હાથમાં જ છે. તને રમાનું નામ યાદ છે ?”
“કેમ નહિ ? સારી પેઠે યાદ છે, ને જેની સાથે તે જતી તેનું પણ યાદ છે. ”
“એનીજ પાસેથી તે અત્યારે નાશી આવેલી છે.”
“ક્યાં ? તારી પાસે આવી છે ? — તારાં તો ભાગ્ય ભળ્યાં, ભાઈ !”
“ચૂપ ! બધા જગત્ ઉપર દીન પ્રવર્તાવી માણસના ભેદમાત્ર ભાગી નાખવાની અને સદ્ગુણ અને સંસ્કૃતિનું ન્યાયમય રાજ્ય સ્થાપવાની બડાઈ કરનાર તારા જેવા, દયા કે સદ્ગુણને ઓળખતા જ નથી.”
બંદાએ પોતાની જીભને દાંત તલે કચડી, અને મનમાં ઘણું લાગી આવ્યા છતાં મોઢું ઠેકાણે રાખી, જવાબ દીધો “ભાઈ ! અનુભવથી આંખો ઉઘડે છે. બોલ, આ રમાની વાતમાં મારો શો ખપ પડ્યો છે ?”
“પગલે પગલે ખાડામાં પડાય કે જાલમાં ગુંચવાઈ મરી જવાય એવા આ નગરમાં હું એને લાવ્યો છું. નિર્દોષતા કે અપ્રસિદ્ધિ એકેથી જ્યાં ઉગરવાની આશા નથી એવા સ્થાનમાં હું એને મૂકીને જવા ખુશી નથી. તમારા દીનની ન્યાયમય રાજધાનિમાં કોઈ હલકામાં હલકા માણસે પણ પરણેલી કે કુમારી ગમે તેવી સ્ત્રી ઉપર નજર નાખવી જોઈએ; પછી તેણે કાં તો તેને સ્વાધીન થવું કે અપયશ સાથે મોતને સ્વીકારવું. બસ બસ, રમાએ આપણી સાથે આવવું જ જોઈએ.”
“એમાં શી મુશ્કેલી છે ? તમારી ચીઠીમાં એનું પણ નામ છે, પછી શું ?”