પ્રકરણ ૬ ઠું.
ભલાઈનો બદલો.
શાહબુદ્દીન મહંમદ ગોરિએ દિલ્હીમાં પોતાનાં જંગલી ટોળાંને જે તૃપ્તિ આપવા માંડી હતી તેમાં રાજપૂતોનો વિનાશ કરી, અગીઆરમી વખતના મહાભારત પ્રયત્નથી પ્રાપ્ત થયેલી ગાદી સાચવી રાખવા જેટલી નિર્ભયતા પ્રાપ્ત કરવી એજ તેનો હેતુ હતો. હાહુલીરાય વગેરેએ તેને પૃથુરાજની પ્રેમાસક્તિની વાર્તા સમજાવી સુસાધ્ય વિજય પ્રાપ્ત કરાવ્યો, તેમ કનોજના જયચંદ આદિએ પણ રજપૂતોમાં પરસ્પર વૈરભાવ વિસ્તારી યવનોને વિજયનો માર્ગ સુતર કરી આપ્યો હતો. તે પણ ગોરીના મનમાં રજપૂતોની ખટક સાલ્યાં કરતી હતી અને કેદ પકડેલા પૃથુરાજ તથા ચંદવરદાયી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી રજપૂતો ગમે તેવી પણ પરસ્પર કલહની વાતને વીસારે પાડી એકત્ર થઈ તેને બારમી વાર હાકી કાઢશે એવું તેને પૂર્ણ ભય હતું. પરંતુ પૃથુરાજ અને તેના માનીતા, કે આખા રજપૂત વર્ગના માનીતા કવિનો નાશ કરવો એ નાની વાત ન હતી, રજપૂતો જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી તેમનો વિનાશ કરતાં વખતે પોતાનોજ વિનાશ થાય એવી ભીતિ તેના મનમાં વસી ગઈ હતી. આ કારણને લીધે તેણે પ્રથમથી જ ધર્મનો ડોળ ધારણ કર્યો હતો, અને પોતાના છુપા જાસુસોને પણ તે ડોળથીજ વર્તવાનું પ્રેરી પાછલાં ત્રણ ચાર વર્ષથી તેણે કામ લીધું હતું એમ આપણે બંદાની વાક્ચાતુરીમાંથી જોઈ આવ્યા છીએ. રજપૂતોની ઉદાર ઉચ્ચવૃતિ અને ઈતર લોકોની સામાન્ય દશા તેનો લાભ લેઈ એવા જાસુસો અંદર અંદર વિરોધ કરાવવાનાં બીજ સર્વત્ર વાવતા હતા, અને તેમણેજ અનેક ગુપ્ત યોજનાઓથી પૃથુરાજ અને જયચંદ વચ્ચે વૈર બંધાવવાની યુક્તિ રચી આપવામાં ભાગ લીધો હતો. કહે છે કે જયચંદે પોતાની પુત્રી સંયોગતાના વિવાહ માટે જે સ્વયંવર કર્યો, અને તેને અંગે રાજસૂય યજ્ઞ કર્યો તેમાં પૃથુરાજ ન આવ્યો એટલે તેની જે સોનાની મૂર્તિ દ્વારપાલ રૂપે કરીને ઉભી રાખી તેનું સોનું જ ગોરી પાસેથી આવ્યું હતું, એ લોકો “ મનુષ્યમાત્ર એક છે ” “ બધા ભાઈ છીએ” એવી પોતાના ધર્મની મહત્તાની વાતોથી, સામાન્ય જનોને યવનાગમ ઉપર રુચિ કરાવતા અને મોટા સમર્થ પુરુષોમાં અનેક યુક્તિ પ્રયુક્તિથી વૈરભાવ ઉપજાવતા, તેમણે આવાં જે બીજ રોપેલાં તેના ફલરૂપે ગોરી