અને સર્વનું મોત થશે. લોકની બીહીક હવે ન રાખશો, લોકોજ તમારા આ કવિને છોડાવવા ભેગા થયા હતા, ગોરીનો ત્રાસ ધીમે ધીમે લોકના મનમાંથી ઉડી ગયો છે. કાલેજ એ દરબાર ભરનાર છે, તેમાં તમારે કાં તો એનું માથું લેવું જોઈએ કે તમારું આપવું જોઈએ.” આ શબ્દ, પેલો કાગળ અને ચંદનું પકડાવું, એથી જયચંદની વદનચ્છાયા ફરી ગઈ, એના હૃદયમાં મહોટો આધાત થયો. અને કૃતાન્ત જે કૃતનિશ્ચય થઈ પ્રાતઃકાલે દરબારમાંજ જંગ મચાવવાના નિશ્ચય ઉપર તે આવ્યો. જયચંદે પેલા માણસને પૂછ્યું “ભાઈ ! તમે કોણ છો ?”
“તમારી પેઠે જ મારા પેટના બાલકને ઉગારવાની આકાંક્ષાવાળો–મારી પ્રાણપ્રિયાને છોડાવવાની ઉગ્ર ઈચ્છાવાળો, એક દર્દી.”
જયચંદ આ બધી વાતથી જે આશ્ચર્ય પામ્યો તે પૂર્ણ થતા પહેલાં તો એ માણસ એના આગળથી અદૃશ્ય થઈ ગયો હતો. જયચંદ તુરતજ રજપૂત સભામાં ગયો. એની આકૃતિ, એની વાણી, એની વૃત્તિ, બધું કાંઈ ઓર પ્રકારનું જણાયું, જેથી સર્વે પરમ આનંદ પામી સમજી ગયા કે એવું કાંઈ બન્યું, જેથી હવે આપણા ઈષ્ટાર્થને આપણો નાયક પણ અનુકૂલ થયો છે. જયચંદ બોલ્યો “આપણે જ આપણી માતાનો દ્રોહ કરાવ્યો, આપણાજ રુધિરથી એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. વિશુદ્ધ રજપુતાણીઓ મ્લેચ્છને હાથે મરશે, પવિત્ર ભરતભૂમિ ઉપર એવું અપવિત્ર કૃત્ય થશે, વરદાયી જેવા કવિજનો જે સર્વત્ર છૂટા છે તેમને પકડી કેદ કરવામાં આવશે, ને રજપૂત- માતાનું ધાવણ ધાવેલો એક બાલક પણ જોઈ ન શકે તેવી એ બધી વાત આપણે જોયાં કરીશું ! અરે ! એમાં એક રીતે સામીલ થઈશું, તો શિવ, શિવ, આપણા આત્માની શી ગતિ થશે ! માટે મારો નિશ્ચય થઈ ગયો છે, પ્રાતઃકાલે બાદશાહ દરબાર ભરી પોતાનો રાજ્યાભિષેક કરવા ઈચ્છે છે, જોઈએ તે અભિષેક કોના રુધિરથી થાય છે.” રજપૂત માત્ર ઈશારો સમજી ગયા, મૂછે તાલ દેઈ, તરવારો તાણી તેને નમસ્કાર કરી, પાછી મ્યાન કરી, ને સર્વે પોતપોતાને મુકામે જઈ સજ્જ થવા લાગ્યા.
એજ દિવસે મધ્યરાત્રી થતા સુધી ચૌટે, ચકલે, દુકાને, ધર્મશાલામાં, જ્યાં જ્યાં ચાર માણસનું ટોળું મળ્યું હોય ત્યાં ત્યાં કોઈ એક પરદેશી રખડતો જણાતો હતો, મુસલમાનોની વિરૂદ્ધ લોકો ઉશ્કેરતો હતો, બધા એની સાથે એકમત થઈ એની વાત માન્ય કરતા હતા, અને કોઈ એનાથી વિરુદ્ધ બોલી