પણ શકતું ન હતું, કહીં કહીં કોઈ છૂટો છવાયો બાતમીદાર બે શબ્દ બોલે તો એની વિકરાલ દૃષ્ટિનો તેના ઉપર પાત થતાંજ પાછો ચંપાઈ જાય, અને ‘મ્લેચ્છોને મારો, ભારતભૂમિને ઉગારો” એવી બુમ ભેગી તેની વાત ક્યાંની ક્યાં ડુબી જાય.
પ્રકરણ ૧૦ મું.
છેલ્લી ઘડી..
પ્રાતઃકાલ થતાં બાદશાહના મહેલમાં તૈયારી થવા માંડી, દિલ્હીમાંનો પૃથુરાજનો દરબાર સાફ થઈ શણગારાવા લાગ્યો. ચોપદારો ચોતરફ દરબારનાં તેડાં કરવા નીકળી પડ્યા, અને જયચંદ આદિ રજપૂતોને પણ નિમંત્રણ થયું. મુસલમાનોના મનમાં આજ જુદાજ વિતર્ક ચાલી રહ્યા છે, રજપૂત કોઈ બીજો જ માર્ગ વિચારી રહ્યા છે. તખ્તનશીન થઈ દિલ્હીના સાર્વભૌમ રાજા થવામાં હવે કાંઈ વિક્ષેપ રહ્યો નથી એવી ગોરી બાદશાહની ધારણા છે, આણી પાસા રજપૂતોના મનમાં પૃથુરાય અને સંયોગતા તથા ચંદવરદાયીને છોડાવવાની ઉત્કટ વીરબુદ્ધિ વ્યાપી રહી છે. બરાબર એક પ્રહર દિવસ ચઢતાં દરબાર ભરાયો, નોબત ગડગડવા લાગી, અને બાદશાહ આવીને તખ્ત ઉપર બેઠો. બધાએ ઉભા થઈ અદબસર કુરનસ બજાવી પોતાનાં સ્થાન લીધાં. રજપૂતો સામી પાસા એક ટોળે થઈને હથીઆરબંધ બેઠેલા હતા. ગોરી બાદશાહે જયચંદના સામું જોઈ કહ્યું “કનોજના મહારાજ ! તમારો અમારા ઉપર ઘણે ઉપકાર થયો છે, અને અમે આજથી તમને અમારા રાજ્યના પ્રથમ પંક્તિના ઉમરાવની પદવી આપીએ છીએ.”
“બાદશાહ સલામત !” જયચંદે ઉભા થઈ અદબથી કહ્યું “આપની મારા ઉપર ઘણી મહેરબાની છે, પણ એવા માનને લાયક છું એમ હું ધારતો નથી.”
“વાહ, એજ આપની લાયકી છે; કાફૂર ! અમારું ફરમાન આ સર્વ ભાઈઓને સંભળાવ; ખુદાએ મને આ દેશની પરવરશી કરચા મોકલ્યો છે, તો તેમાં હું ફતેહમંદ થાઉં એ માટે આપ સર્વની મદદની જરૂર છે.”