પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૫
પ્રેમનું સ્વાર્પણ.

“ના, એમ નથી; કાજીસાહેબના ઉપર આટલી ચીઠી લખી આપો,” એમ કહેતાં પેલા માણસે કાગળ ખડીઓ ને કલમ પણ રજુ કરી દીધાં, ને લખાવ્યું કે “આ માણસને મળજો, ને એ માગે છે તે આપી શકાય તો આપજો, એથી મારા ઉપર ઉપકાર થશે.” ચીઠી લઈને પેલા અજાણ્યા માણસે સોના મહોરો આપી તે સાથે સેનાપતિ ઘોડે ચઢી ચાલતો થયો.

બહાર આ પ્રમાણે બન્યું તે સમયે કાજીના મકાનમાં પ્રત્યેક કામના તોહોમતદારનું નામ જોઈ તેના ઉપર શો આરોપ છે ઈત્યાદિ તપાસ થતી હતી. બંદાનું નામ એ યાદીમાં આવતાં કાફૂરે કહ્યું “ એ લુચ્ચાના ઉપર મારી આંખ ઘણા દિવસથી બેઠેલી હતી, છેવટે પકડાયો તેથી મને બહુ ખુશી થઈ. ” કામ ચસાવનાર અમલદારે થોડાંક બીજાં નામ જોઈ કહ્યું “કાજી સાહેબ ! આ યાદીમાં એક ઓરતનું નામ છે, એના ઉપર કાંઈ આરોપ નીકળતો નથી.” કાજીએ કહ્યું “ગમે તેમ હોય, પણ આપણે શું કરી શકીએ ? બાદશાહનો હુકમ સખ્ત છે, સોના નવાણું કરવાનો આપણને અખ્તીઆર નથી.”

આ પ્રસંગેજ સેનાપતિની ચીઠી માણસે આવીને આપી, એટલે તે જોઈ કાજીએ કહ્યું “અય પરવરદિગાર ! તારી શી મહેરબાની છે ! — આવવા દે, એ માણસને આવવા દે, એના આવવાથી કદાપિ આ ઓરતને બદલે એક માથું મળી શકશે.” પરદેશી, ઓરડામાં દાખલ થયો તે જ વખતે કામ ચલાવનાર અમલદારે કાજીની રજા લીધી, ને પોતાના ઘર તરફનો માર્ગ પકડ્યો.

અજાણ્યા પરદેશીએ કાજીના સન્મુખ હાથ જોડી વિનતિ કરી “ આપને મારૂં સ્મરણ નહિ હોય; એક અલ્લાહની બધી ઓલાદ છે, બધે ભાઈચારોજ પ્રવર્તાવવાનો છે, એવી આપ વાત કરતા હતા; જલ્લાદ અને દેહાંત દંડની નિંદા કરતા હતા, અંબરમાં આપણે મળ્યા તે પછી આપ લ્લાહના પક્ષને પસંદ કરતા થયા; તેનું આપને સ્મરણ નહિ હોય; આપના ઉપર મારાથી કાંઈ ઉપકાર થતાં આપે કહ્યું હતું કે ‘કોઈ સમયે મારા જીવથી પણ તારૂં કામ થતું હોય તો યાદ કરજે’ એનું પણ આપને સ્મરણ ક્યાંથી હશે ?”

કાજીએ આવું કહેનારની આકૃતિ ઉપર સૂક્ષ્મ દૃષ્ટિ કરી કહ્યું “મને તારૂં કોઈ ઓળખાણ પડે છે ખરૂં. જે વાત હું કરતો હતો તે કામ પડતા પહેલાંની જ વાતોજ હતી, જ્યારે કામ પડે છે ત્યારે ખબર પડે છે કે શું કરવું યોગ્ય છે કે શું નથી તારો ઉપકાર મને યાદ છે, પણ બાદશાહનો હુકમ બહુ સખ્ત છે, એટલે હાલ મારે ઉપાય નથી.”