પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૭
પ્રેમનું સ્વાર્પણ

“મને બંદીખાનામાં મોકલો, તમારી યાદીમાં મારું નામ દાખલ કરો, અને ગુલાબસિંહ એ નામથી મારા ઉપર કાલે કામ ચલાવો. તે વખતે જો હું તમને જાણવા જેવી વાતો ન કહું તો જે સ્ત્રીને હું બચાવવા આવ્યો છું તેને તમારી નજરમાં આવે તે કરજો. તે સ્ત્રીને બચાવવાની પણ મારી માગણી ક્યાં છે? હું તો તેને માટે માત્ર એક દિવસની મુદતજ માગું છું. બંદીખાનાના દરવાન ઉપર, મને દાખલ કરવાનો, અને એ અબલાને એક દિવસ વધારે રાખી મુકવા હુકમ લખો, હું મારે હાથે તે લેઈ જઈશ. હું જે કહેવાનો છે તેમાંનું એટલું તો તમને કહેતો જાઉં છું કે હિંદુ મટી, લોભને વશ થઈ, મુસલમાન થનારનું નામ પણ ગરદન મારવા ઠરાવેલા માણસોની યાદીમાં દાખલ હોવું જ જોઈએ, કોની પાસે છે, ક્યાં છે, કેમ છે, તે તો કોલેજ કહીશ.”

કાજીના સાંધા નરમ થઈ ગયા, ગુલાબસિંહની દૃષ્ટિનો પાશ વજ્ર જેવો અનિવાર્ય થઈ પડ્યો, અને તેણે લખાવ્યો તે પ્રમાણેનો હુકમ તુરત કાજીએ લખી આપ્યો ને કહ્યું “જો ભાઈ, મેં તારા અપકારનો બદલે ઉપકાર કર્યો, મેં મારૂં વચન પાળ્યું. ભલા માણસ ! મને તું કોઈ બેવકૂફ જણાય છે, કોઈક ધૂનમાં ગાંડો થઈ ગયો લાગે છે. તારા જેવા મૂર્ખ લોકોને એકાદ મૂર્ખ બાપ કે બેટો કે બાયડીને બચાવવા મથતા જોઈ મને દયા આવે છે.”

ગુલાબસિંહે જાતે જ કહ્યું “ખરેખર કાજી સાહેબ ! હું કોઈ એક ધૂનને તાબે થયેલ મૂર્ખ જ છું.”

“અરે ઓ ગાંડા જરા પાછો આવ. તું કાલે જે કહેવાનો છે તે અત્યારેજ કહી નાખ. તું પોતે અને તારી એ સ્ત્રી કે જે હોય તે બન્ને વધારે મુદત પામશો એટલું જ નહિ, વખતે માફીમાં દાખલ થઈ શકશો.”

“તમારી કચેરી વિના બીજે કહીં હું કહેવાનો નથી. ખોટું કહીને તમને છેતરવા ઈચ્છતો નથી. હું કહીશ તેથી તમને ફાયદો થવાનો થોડોજ સંભવ છે, કેમકે હું જે સમયે તમને ભયના વાદળાનું દર્શન કરાવીશ તેજ સમયે તેમાંથી વજ્રપાત થવાનો સંભવ છે.”

“બસ, જા, તારૂંજ સંભાળ. બેવકૂફ ! ગાંડા ! તારા જેવા લોક હઠીલા હોય છે તે હું જાણું છું, માટે તારી સાથે માથાકૂટ કરવામાં લાભ દેખતો નથી. કાલે તને જ પસ્તાવો થશે કે આજ કહ્યું હોત તો સારું થાત.”

“ભલે ” શાન્તમુખમુદ્રાથી ગુલાબસિંહે કહ્યું.