પૃષ્ઠ:Gulabsinh.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
પ્રેમતૃપ્તિના અંકુર

“હા, મા ! હું કદાપિ તારા પર પ્રેમ રાખું; પણ તે પ્રેમમાં અહો શી વિપત્તિ ! શું દુઃખ ! શો અવસ્થાન્તર : જે કઠિન પર્વત ઉપર પુષ્પ ઉગે છે તે પર્વતને તો પુષ્પ સુવાસિત કરે છે. બીજીજ ક્ષણે પુષ્પ કરમાઈ જાય છે, પણ પર્વત તો તેનો તેજ–આગળ પાછળ હિમના ઢગલા ! માથા પર સૂર્યનો બળતો તાપ ! જરા શાન્ત થા–વિચાર કર. હજી પણ તારે માથે આપત્તિ ઉભી છે. થોડા વખત સુધી તો તારા નિર્દય જુલમગારના પંજામાંથી તું બચી શકશે, પણ આખરે એવો વખત આવશે કે અહીંથી નાશી છૂટવા વિના તારે સિદ્ધિ રહેશે નહિ. જો પેલો જયપુરનો રજપૂત તારા ઉપર ખરો પ્રેમ રાખતો હશે તો એને તારી આબરૂ પોતાની આબરૂ જેટલીજ વહાલી લાગશે, તેમ નહિ બને તો એવો પણ કોઈ જાગશે કે જેની પ્રીતિ વધારે સાચી ઠરશે, અને જેને હવાલે સદાચાર વધારે સહી સલામતીમાં રહેશે. બસ; ત્યારે મારા ભાગ્યમાં શું આવે છે તે તો હવે હું સાફ જોઇ શકતો નથી. આટલું હું કહી શકું છું કે આપણે ફરી મળીશું, પણ રે મધુર પુષ્પ ! તે પહેલાં સમજજે કે પર્વતની કઠિન ભૂમિ કરતાં બીજી વધારે નરમ જમીન પણ તારે ઉગવા માટે સર્જાયેલી છે.”

આમ કહેતાંજ ચાલતો થયો, અને જ્યાં પેલી બુઢ્ઢી દાસી ઉભી હતી તે દરવાજા આગળ જઈ પહોંચ્યો, એને હાથે પકડીને ગુલાબસિંહ આનંદી સ્વરે કહેવા લાગ્યો “લાલાજી તારી શેઠાણી પર આશક છે, ને ઘણું કરી એને પરણશે. તું તારી શેઠાણી પર કેટલો ભાવ રાખે છે તે મને ખબર છે, ને તેથીજ કહું છું કે એના મનમાં મારે માટે કાંઈ ભૂત ભરાયું હોયતો કાઢી નખાવજે. અમે તો નિરંતર ઉડતાં પક્ષી કહેવાઈએ.” આમ કહેતાંજ દાસીના હાથમાં મોહોરોની થેલી મૂકી દૃષ્ટિ બહાર થઇ ગયો.