એ માનુષ અંશ છે, આપણા વિચાર અમર છે, આચાર ક્ષણિક છે.”
“અહો દીલ્હીના ફક્કડોમાં ફરતે ફરતે પણ વિચાર તો બહુ ગંભીર જણાવ્યો !”
“તને તેની શી ખાત્રી છે કે હું દીલ્હીનો ફક્કડ છું ?”
“તમે દીલ્હીના નથી ?, છતાં પણ જ્યારે તમે આપણી ભાષા આમ બોલો છો ત્યારે મને લાગે છે કે —”
“ચૂપ !” ગુલાબસિંહે કહ્યું. વળી થોડી વાર પછી ધીમેથી બોલ્યો : “કેમ લાલાજી ! ત્યારે તમે રમાને જવા દેશો ? કે મેં જે કહ્યું તે પર થોડા દિવસ વિચાર કરશો ?”
“જવા દેશો ? —કદાપિ નહિ.”
“ત્યારે તો એને પરણશોજ.”
“એ પણ કેમ બને ?”
“ખેર, એમ કરો ! : એજ તમને તજી દેશે. હું તમને એટલુંજ કહું છું કે તમારે બીજા પ્રતિપક્ષી છે.”
“હા, પેલો —; પણ હું એનાથી ડરતો નથી.”
“પણ એ વિના બીજો છે, જેનાથી તે તમારે બિહીવુંજ પડશે.”
“તે કોણ ?”
“હું પોતેજ !”
લાલો તો આ શબ્દ સાંભળતાં જ ફીકોજ પડી ગયો, અને બેઠો હતો ત્યાંથી ચમકીને બોલ્યો “તમેજ ! ગુલાબસિંહ ! તમેજ ! ને તમે પોતેજ મને એમ કહેવાની હિંમત ધરો છો ?”
“હિંમત ધરો છો ! અરે ! એવો પણ પ્રસંગ હોય છે કે જ્યારે હું એમ ઈચ્છું કે હું સદાય ડરતોજ રહું !”
આ ગર્વભર્યા શબ્દો ગર્વથી બોલવામાં આવ્યા ન હતા, પણ ઘણી શોકયુક્ત નિરાશા સહિત, કર્તવ્ય માત્રનેજ મુખ્ય ગણી, કહેવામાં આવ્યા હતા. લાલો ગુસ્સે થયો, ગભરાયો, પણ ડરી ગયો. છતાં એનામાં રજપૂતનું લોહી હતું. તેથી ધીમે રહીને બોલ્યો “મેહેરબાન સાહેબ ! આવા ગંભીર શબ્દોથી કે આ ગુહ્ય વચનોથી હું છેતરાવાનો નથી, મારામાં નથી તેવું અથવા