પૃષ્ઠ:Gulabsinh.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
ગુલાબસિંહ.

મારાથી સમજી ન શકાય તેવું સામર્થ્ય તમારામાં હશે, અથવા તો તમે કોઈ ચાલાક ધૂતારાજ હશો, પણ તેમાં મારે શું ?”

“હાં, પછી,”

“તમારે સમજવું” જરા ફીકા પડીને પણ દૃઢતાથી લાલાએ કહ્યું : “તમારા જેવો અજાણ્યો માણસ મને મા સાથે પરણવાની જેમ કદી પણ ફરજ પાડી શકે તેમ નથી, તેમ હું પણ એમનો એમજ એને બીજાને હાથ જવા દઉં તેમ નથી.”

પોતે બોલતો હતો તે કરવાનું પોતાનામાં પાણી છે એમ દીપ્ત થયેલા મુખારવિંદ ઉપરથી તથા ચમકતી આંખો પરથી સ્પષ્ટ જણાતું હતું, તે થોડી વાર નીહાળ્યા પછી ગુલાબસિંહ બોલ્યો “વાહ હિંમત ! ઘટે છે, રજપૂતને ઘટે છે ! પણ હું કહું છું તે સાંભળ; આજથી નવમે દિવસે મને કહી જજે કે તું સર્વથી સુંદરમાં સુંદર કાન્તાને પરણશે કે નહિ.”

“પણ જો તમે એને ચહાતા હો તો શા માટે—”

“શા માટે હું એમ કહું છું કે તમે તેને પરણો ? મને પરણવાથી એને જે દુઃખ થશે તેમાંથી બચાવવા માટે. સાંભળ. એ ગરીબ અને અભણ છોકરીનામાં ઘણા ઉત્કૃષ્ટ સદ્‌ગુણોનાં બીજ મારી નજરે પડે છે. જેને એ ચહાશે તેનું સર્વસ્વ પોતે થઈ રહેશે — જે જે વાત કોઈ પોતાની અર્ધાંગનામાં ઈચ્છે તે એનામાંથી નીકળશે. પ્રેમથી પ્રફુલ્લ થયેલો એનો આત્મા તારા આત્માનો ઉદ્ધાર કરશે; તારા કર્મને જુદી જ અસર કરશે, તને ભાગ્યશાલી બનાવશે; તું ઘણો પ્રસિદ્ધ અને સુખી પુરુષ નીવડશે. પણ જો એ બીચારી મારો ભોગ થઈ પડી તો એનું શું થશે તે હું સમજી શકતો નથી. પણ મને ખાત્રી છે કે આ એવી કસોટી છે, જેમાંથી બહુ થોડાંજ નિષ્કલંક પાર પડે છે; એમાંથી આજ પર્યંત કોઈ સ્ત્રી તો બચી જાણીજ નથી.”

ગુલાબસિંહનું વદન આ બોલતાં ફીકું પડી ગયું, અને એનો અવાજ એવો થઈ ગયો કે જેથી આ વાત સાંભળનાર પણ ટાઢો હિમ થઈ ગયો.

પોતાની જિજ્ઞાસાને કબજે ન રાખી શકવાથી લાલો બોલી ઉઠ્યો “આ તે શો ગુંચવાડો ? તમે બધાં માણસ કરતાં નિરાળા છો ? માણસો સાધારણ રીતે જ્ઞાનની સીમા જેટલે બાંધે છે તેની પાર તમે ગયા છો ? અર્થાત્‌ શું તમે જાદુગર, ભૂત સાધનાર કે એવા કોઈ છો, કે અમથા—”