પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન : પ્રભુપ્રીત્યર્થે : ૧૩૫
 

 પણ પ્રભુ તરફ વળે છે. પ્રભુ હવે હાથવેંતમાં જ છે.’

‘પરંતુ વિદ્વાનો તો ઉપનિષદનો મંત્ર આપે છે કે પરમાત્મા પ્રભુ. સહુથી પહેલા દૃષ્ટિએ પડે, શ્રવણે પડે, પછી તેમનું મનન થાય, અને ત્યાર પછી તેમનું ધ્યાન ધરાય. आश्मा वा रे द्रष्टव्यो, श्रोतव्यो मंतव्यो, निदिध्यासितव्ये ।...

‘રાજન ! સંસ્કૃત, પ્રાકૃત અને શાસ્ત્રવાણીના એ બધા ચમત્કારો આપણે બાજુએ રહેવા દઈએ. ને ટૂંકામાં ટૂંકો છે, સહેલામાં સહેલો, અને પ્રભુને પળે પળે પ્રત્યક્ષ કરાવે એવો મંત્ર સંભળાવું?’ વિષ્ણુચિત્તે પૂછ્યું.

‘હું એ જ શોધી રહ્યો છું. કૃપા કરી મને અબઘડી એ મંત્ર સંભળાવો’

‘તો સાંભળ ! આત્મા, પરમાત્મા, સાકાર, નિરાકાર, સગુણ, નિર્ગુણ-એ બધું બાજુએ મૂક. સતત નારાયણનું નામ દે, સતત નારાયણનું ધ્યાન ધર, અને તું જે કાંઈ કરે તે નારાયણપ્રીત્યર્થે જ કરે છે એમ માનીને ચાલ; તું રાજ્ય કરે તે નારાયણપ્રીત્યર્થે જ કરજે !’ આટલું કહી નમન કરતા રાજવીને મસ્તક હાથ મૂકી વિષ્ણુચિત્ત સભાગૃહમાંથી ચાલ્યા ગયા. પરંતુ રાજાનું ગુરુસ્થાન પ્રાપ્ત કરી ચૂકેલા વિષ્ણુચિત્તને રાજા જાહેર સન્માન વગર જવા દે એમ હતું જ નહિ. વિષ્ણુચિત્તને મન તો સન્માન અને અપમાન બંને સરખાં જ હતાં. મહારાજાએ મદુરાનગરીમાં એક ભવ્ય સન્માનસરઘસ કાઢ્યું અને વિષ્ણુચિત્તને હાથીને હોદ્દે બેસાડી આખા ગામને તેમનાં દર્શન કરાવ્યાં. વિષ્ણુચિત્ત પાસે નારાયણના નામ સિવાય બીજો મંત્ર જ ન હતો. તેઓ પગે ચાલે છે હાથીને હોદ્દે બેસે, પરંતુ નારાયણના નામસ્મરણ સિવાય એમને જીવનમાં બીજી કોઈ મહત્તા દેખાતી જ ન હતી. આ સાધુચરિત પુરુષનો આટલામાં જ એવો પ્રભાવ પડી ગયો કે આખુ મદુરાનગર નારાયણના નામનો ઉચ્ચાર કરતું બની ગયું.