પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન : પ્રભુપ્રીત્યર્થે : ૧૩૯
 

 ‘દીકરી ! તું કયા ભાવથી પ્રભુને માળા ધરાવતી હતી ?’

‘પિતાજી ! દિવસોથી ગોપીભાવે હું પ્રભુ તરફ નિહાળું છું. પણ જાણે કેમ, એક દિવસ મારાથી જ એ માળા પહેરાઈ ગઈ... અને હવે મારી પહેર્યા વગરની માળા ધરાવાય છે તે બધી પ્રભુને કંઠે અર્પણ થતાં જ કરમાઈ જાય છે.’ પુત્રીએ જરાક શરમાતા શરમાતાં જવાબ વાળ્યો અને વિષ્ણુચિત્ત સમજી ગયા. દીકરીની પહેરેલી જ માળા તેમણે પ્રભુને અર્પણ કરી અને પુષ્પો હતાં એ કરતાં વધારે ખીલ્યાં, અને વધારે સુવાસિત બન્યાં !

આ પ્રસંગ પછી કેટલેક સમયે રંગનાયકીનાં પ્રભુની મૂર્તિ સાથે જાહેરમાં લગ્ન પણ કરવામાં આવ્યાં. અને વિષ્ણુચિત્ત તથા તેમની પાલક પુત્રી બંનેએ મંદિરમાં રહી લાખ્ખો પદ રચ્યાં; જે ગાતાં ગાતાં તામિલ પ્રદેશનો મોટો ભાગ વૈષ્ણવતા સ્વીકારી રહ્યો, અચાનક મળી આવેલી બાળકીને પાળી, પોષી, ઉછેરી, ભણાવી, પ્રભુમય બનાવી દેનાર પ્રભુભક્ત વિષ્ણુચિત્તના આશ્રમમાં વારંવાર આવી ગુરુની ચર્ચા નિહાળી જતા રાજા બળદેવવર્મનને પ્રભુમય કેમ થવું તેનું પ્રત્યક્ષ શિક્ષણ મળી ગયું. સર્વ કાર્ય સ્વચ્છતાપૂર્વક, સૌંદર્યપૂર્વક, પ્રભુપરાયણતાપૂર્વક, અને પ્રભુને અર્પણ કરીને થઈ શકે છે એવું વિષ્ણુચિત્તનું વર્તન હજારો અને લાખ્ખો સામાન્ય માનવીઓને પણ પ્રભુમય બનાવી શકે. દક્ષિણના પરમ ભક્ત ગણાતા અલ્વારોમાં વિષ્ણુચિત્ત અને રંગનાયકી અગ્રસ્થાન પામ્યાં.

રંગનાયકી કઈ જ્ઞાતિની બાળકી હતી, કોની બળકી હતી, વિધિપુર:સરનાં થયેલા લગ્નમાંથી જન્મેલી બાળકી હતી કે કેમ, એ બધા વિષ્ણુચિત્તે ન પૂછ્યા, ન ત્યાર પછી આજ સુધી કોઈએ પૂછ્યા. ન્યાત, જાત, કુળ અને પ્રાકૃત ધર્મથી પર લઈ જતો સનાતન ધર્મ આમ રાયરંકને એક કક્ષાએ મુકતો હજી પ્રચલિત છે.