પૃષ્ઠ:Hira ni chamak.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘તમે ત્રણે સાચાં પડો એમ આપણે કરીએ તો?’

‘હું મારા પતિને કદી મરવા ન દઉં. ભલે સૂર્ય ન ઉગે અને બ્રહ્માંડ રસાતાળ ચાલ્યું જાય !’ કલ્યાણીએ કહ્યું.

‘કલ્યાણી ! આ દેહ તને ભાગ્યે જ ખપ લાગ્યો છે. એ દેહનો નાશ થાય એમાં જ એના દેહને સુખ છે. તું હઠ પકડીને બેસ નહિ. સૂર્યનો ઉદય થવા દે અને મારા આ પાપી દેહને પડવા દે !’ કહી કૌશિક જમીન ઉપર ઢળી પડ્યો. અતિ ઘસાયેલા તેના દેહમાં પ્રાણ રહ્યો નહિ એમ કલ્યાણીને લાગ્યું. અને એકાએક સૂર્યોદય થયો. અને આખી સૃષ્ટિ આનંદની ઊર્મિ અનુભવવા લાગી.

પરંતુ કલ્યાણી શૂન્ય બનીને બેસી રહી. પતિના દેહને અગ્નિ દાહ દેવાય તે પ્રસંગે સહગમન કરવાનો નિશ્ચય તેની આંખમાં તરવરી રહ્યો. સૂર્યે ઊગીને કલ્યાણીના પાતિવ્રત્ય ઉપર કલંક લગાડ્યું હતું. એવી તેના મનમાં ખાતરી થઈ ગઈ હતી. કલંકિત દેહ પતિના દેહ સાથે બળતાં વિશુદ્ધિ પામશે એમ ધારી તે સહગમનની રાહ જોતી બેઠી.

સતી અનસૂયાએ કૌશિકના દેહને ઉપાડી લીધો અને પાસેના જ નર્મદાતટ ઉપરના આશ્રમમાં લાવી એ દેહને મૂક્યો. પાસે એક મોટો ખાડો કર્યો. અને કૌશિકના દેહને બાળવાને બદલે સંન્યાસીની માફક પદ્માસન વાળી બેસાડી તેના ગળા સુધી માટી પૂરી લીધી. કલ્યાણીથી રહેવાયું નહિ. તેણે પૂછ્યું:

‘માતાજી ! આ બધું શું થાય છે? હું તો સહગમનની તૈયારી કરું છું. પતિના દેહને બાળો કે દાટો, પરંતુ એની સાથે મારી જગા રાખો.’

અનસૂયાના મુખ ઉપર જરા યે શોક હતો નહિ. તેમણે કહ્યું :

‘તું સાચી સતી છે. તારું સ્થાન તારા પતિ સાથે જ છે.’

‘ક્યાં છે મારો પતિ?’ કલ્યાણીએ પૂછ્યું.

‘ઘડી બેઘડી રાહ જો. એટલામાં તને તારો પતિ ન મળે તો હું મારે હાથે તને તારા પતિની ચિતા ઉપર ચઢાવીશ.’