પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૬

ઈશુ ખ્રિસ્ત

ઈશુ - શાસ્ત્રમાં શું કહ્યું છે?

વિદ્વાન - શરીર, મન, બુદ્ધિથી ઈશ્વરની ભક્તિ કરવી અને પોતાના પડોશીને પોતા જેવો જ સમજવો.

ઈશુ - ઠીક કહ્યું. એ પ્રમાણે જ ચાલ, એટલે અનંત જીવનનો અધિકારી થઈશ.

વિદ્વાન - પણ મારો પડોશી કોણ?

ઈશુ - એક વાર એક મુસાફર ચોરોના હાથમાં સપડાયો; તેમણે તેને લૂંટી કપડાં ઉતારી લઈ, મારી, લગભગ અધમૂઓ કરી નાંખ્યો. તેવામાં એક પૂજારી ત્યાંથી પસાર થયો. એને પડેલો જોઈ, તે રસ્તાની સામી બાજૂથી ચાલ્યો ગયો. પછી થોડી વારે વળી એક બીજો ગૃહસ્થ ત્યાં આવી ચડ્યો. તે પણ તેને જોઈ, રસ્તાની સામી બાજૂથી ચાલ્યો ગયો. તે પછી એક સૅમૅરિયન (હલકી કોમનો યહૂદી) ત્યાં આવી ચડ્યો. તેને એની દુર્દશા જોઈ દયા આવી. તે તેની પાસે ગયો, અને તેના ઘાને દારૂથી ધોઈ, તેલ લગાડ્યું, અને તેને પોતાના ખચ્ચર પર નાંખી એક સરાઈમાં લઈ ગયો, તથા ત્યાં તેની માવજત કરી.

પછી બીજે દિવસે સવારે ઊપડતી વખતે તેને સરાઈના માલિકના હાથમાં પૈસા મૂકી કહ્યું, 'આ માણસની સંભાળ લેજે, અને વધારે ખરચ થાય તો મારે નામે માંડી રાખજે. હું ફરી આવીશ ત્યારે ચૂકવી દઈશ.'

હવે, આ ત્રણમાં એ લૂંટાએલા માણસનો કોણ પડોશી થયો વારુ?

વિદ્વાન - જેણે દયા બતાવી તે.

ઈશુ - એ જ મુજબ થતું રહે