પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે હવે પોપની ગાદીને માનવા લાગ્યો છે, તો તે અસહ્ય ન થાય. પણ જ્યારે તેની સામે એનાં જીવન, રહેણીકરણી, લગ્ન-વારસા વગેરેના કાયદા-કાનૂન તથા ખાન-પાન વગેરેમાંયે એટલો ફેરફાર કરવો જરૂરી સમજવામાં આવે કે તેનાથી પોતાના આગલા સમાજ ભેળા અને તે સમાજથીયે તેને પોતા ભેળા રાખી શકાય જ નહિ, ત્યારે તે ધર્માંન્તર બીજા સમાજને અસહ્ય થઈ પડે છે. ખ્રિસ્તી અને મુસલમાન ધર્મે હિન્દુસ્તાનમાં જે મુશ્કેલી ઊભી કરી છે તે તેમના ધર્મ વિષેના ખાસ સિદ્ધાન્તોના કરતાં તેમણે તે સાથે આણેલી નવી સમાજરચના અને રહેણીકરણી તથા તેની પાછળ રાજબળની મદદને પરિણામે થયેલી છે. 'હું ઘરઘરમાં ઝઘડા કરાવવાયે આવ્યો છું.' એ ઈશુની પ્રતિજ્ઞા જાણે અક્ષરસઃ પાળી બતાવવાનું કામ એના પ્રચારે કર્યું છે.

સત્ય કરતાં બીજું કશુંયે મહત્ત્વનું નથી, અને સત્યને માટે

કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ, ત્યજીએ મા ને બાપ રે,
ભગિની સુત દારાને ત્યજીએ, જેમ ત્યજે કંચુકી સાપ રે.

એમ નરસિંહ મહેતા વગેરે ભક્તોએ પણ ગાયું છે, અને

ત્યજ્યો પિતા પ્રહલાદ, વિભીષણ બંધુ, ભરત મહતારી;
હરિ હિત ગુરુ બલિ, વ્રજવનિતા પતિ,.....................

એવા દૃષ્ટાંતો પણ છે.

આથી ખ્રિસ્તી ધર્મે જો સત્યના જ્ઞાનની દૃષ્ટિએ કાંઈક સાવ નવા તત્ત્વની ભેટ હિન્દુસ્તાનને કરી હોય, અને તે તત્ત્વને તથા તેમણે દાખલ કરેલી નવી સમાજરચના અને રૂઢિઓને કોઈક જાતનો આવશ્યક સંબંધ હોય, તો તો હિન્દુસ્તાનમાં