ઈશુ ખ્રિસ્ત
તે એને પહેલો પથરો મારે. એમ બોલી વળી પાછું જમીન પર દૃષ્ટિ રાખી બેઠા.
આ સાંભળી તે માણસો એક પછી એક ઊઠીને ચાલતા થયા, અને થોડી વારમાં તે બાઈ એકલી જ ત્યાં રહી ગઈ.
તે જોઈ ઈશુએ તે બાઈને કહ્યું, તારા પર આરોપ મૂકનારાઓ ક્યાં ગયા? શું કોઈએ તને સજા ન કરી?
તેણે કહ્યું, ના પ્રભુ.
ઈશુએ કહ્યું, ત્યારે તારે ઘરે જા અને ફરીથી પાપ કરીશ નહિ.
પણ પંડિતો ઈશુને સમજી શક્યા નહિ. પાપને માફ કરવાની હિંમત બતાવનાર આ ઉદ્ધત પુરુષ કોણ. એમ એમને થયું, અને એમનો ઈશુ પ્રત્યેનો દ્વેષ વધતો જ ગયો.
બાર સાથીઓ ઉપરાંત કેટલીક સ્ત્રીઓ પણ હવે ઈશુ જોડે ફરવા લાગી. એ સર્વ સ્ત્રીઓનું જીવન ઈશુના ઉપદેશથી એટલું શુદ્ધ અને પવિત્ર બન્યું હતું કે જ્યારે ઈશુનો એના શિષ્યોએ પણ સાથ છોડ્યો ત્યારે એ જ એની પાસે ઊભી રહી હતી.
आरोप
પછી ફૅરિસી લોકો ઈશુના ચમત્કારો વિષે એમ કહેવા લાગ્યા કે એણે મેલી વિદ્યા સાધી છે, અને એ ઈશ્વરનો દૂત નહિ પણ મલિન દેવનો ઉપાસક છે. આના જવાબમાં ઈશુ એમ કહેતો કે, "કોઈ પણ દેવ કે પ્રાણી પોતાની વિરુદ્ધ જાય એવું કાર્ય કરે નહિ. મલિન દેવ ભૂતોને અને