પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૧
જયા-જયન્ત
 


અજવાળે છે અહર્નિશા.
' જયા ધરાવશે જયન્તને માથે
જગતના જયનો મુગટ: '
સ્‍હમજાયો દેવર્ષિનો એ આશીર્વાદ.
ઓ હરિકુંજનાં પાંદડાંઓ !
છો તેટલી જીભો થાવ;
ને જગાવો જયાના નામનો અલખ.
બોલાવો બ્રહ્માંડની ગુફાઓમાંથી,
કે હરિની ઈચ્છા પૂર્ણ થાય.
બ્રહ્મકૃપાની ને બ્રહ્મજ્યોતિની
જગતમાં જયા જ છે મૂર્તિ.
જય ! બ્રહ્મજ્યોતિનો જય !
જયાને પુણ્યપગલે જ
ઉગશે સ્‍હવાર જગતના ઉદ્ધારનાં.