પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૨
જયા-જયન્ત
 


ઉર્વશી : વૃક્ષઘટામાં વેરાઇ બેસીએ;

હશે તે ઉગશે હમણાં.
(વૃક્ષોની ડાળીઓ ને પલ્લવોમાં સૌ સન્તાઇ બેસે છે.)

બ્રહ્મબાલા : (સ્વગત)

મ્હારા સ્વસ્તિક તો પૂરાઇ રહ્યા.
(જયન્ત ગિરિરાજ ને રાજરાણી આવે છે.)

ગિરિરાજ : पाहि माम् पाहि माम्‍, બ્રહ્મર્ષિ !

પૂર્વાશ્રમમાં ખોટાં આળ ચ્‍હડાવ્યાં,
કુલ તજાવ્યું, નગર છોડાવ્યું,
રાજ્યપાર કીધા, અરણ્યવાસ દીધા,
કીયે ભવે છૂટીશું અમે
રાજસત્તાના એ વિધર્મો ?

રાજરાણી : આડકોટ અદીઠ કરવા

દેશવટો દેવરાવ્યો ત્‍હમને;
પ્રભુ માફ કરશે અમને એ?
મુજ સમી માતાઓનાં વાવ્યાં લણતી
રડે છે રાજમહેલમાં કંઇક રાજબાલાઓ,
કે માણે છે પશુતાના પાપવિલાસ.
રાજવીને નહીં પણ રાજસિંહાસનને
કુંવરીઓ પરણાવે છે કંઇક રાજમાતાઓ.

જયન્ત : પશ્ચાતાપનાં પ્રાયશ્ચિતથી

પાપ બળી પુણ્ય જન્મે છે.
ત્‍હમે ય તપ ઓછાં નથી કીધાં.