પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રવેશક


જયભિખ્ખુ નામ મેં પહેલવહેલું સાંભળ્યું ત્યારે બીજા અનેકોની જેમ મને પણ ભ્રમ થયેલો કે આ કોઈ જુનવાણી સાધુ હશે. પછી તેમનું એક પુસ્તક હાથમાં આવ્યું, ‘પ્રેમભક્ત કવિ જયદેવ’.

પુસ્તક વાંચતો ગયો તેમ પેલો ભ્રમ ભાંગતો ગયો. વાચનને અંતે ખાતરી થઈ ગઈ કે આટલી રસિક બાની કોઈ સાધુની હોય નહીં, અને જૈન સાધુની તો ખચિત નહીં જ.

શૃંગારની છોળો ઉડાડીને પ્રેમરસ પાનારો આ લેખક તો પેલા મોરના પિચ્છધરનો જ વંશજ, પૂરો ગૃહસ્થી હોવો જોઈએ એમ મનમાં દૃઢ બેસી ગયું.

૧૯૪૬ના જુલાઈ કે ઑગસ્ટમાં જયભિખ્ખુની પહેલીવાર ઓચિંતી મુલાકાત થઈ. શારદા પ્રેસમાં એક ચોપડી છપાતી હતી. તે નિમિત્તે ત્યાં ગયો, તો પ્રેસ-મેનેજરની ખુરશી ઉપર બેઠેલ એક ભાઈ જોશીલી જબાનમાં કોઈની સાથે વાત કરી રહ્યા હતા, માંડીને વાર્તા કહેતા હોય તેમ.

સાંભળનારા પણ વાર્તારસમાં ડૂબી ગયા હતા. વાત પૂરી થયા પછી એમની મને ઓળખાણ કરાવવામાં આવી, બાલાભાઈ દેસાઈ – જયભિખ્ખુ તરીકે.

સહેજ આંચકા સાથે એમનો પહેલો પરિચય થયો. દસ મિનિટમાં જ મારા મને તાળઓ મેળવી લીધો કે જયભિખ્ખુ રંગીલા લેખક છે, સંસારમાં માત્ર ઊંડા ઊતરેલા જ નહીં, તેના રસકસના જાણતલ શોખીન જીવ છે.

હું તેમના ઠીક ઠીક નિકટ સંપર્કમાં આવ્યો છું. એ દરમ્યાન એમની નરવી રસિકતાનો મને અનેકવાર પરિચય થયો છે. એમના તખલ્લુસનો ઇતિહાસ જાણ્યો ત્યારે ખબર પડી કે સિક્કાની બીજી બાજુ રોમાંચક છે. એ નામ પાર્વતી-પરમેશ્વરની માફક એમના દામ્પત્યના અદ્વૈતનું પ્રતીક છે.