પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રવેશક
 

માટે અનેક નાનીમોટી તકલીફોવાળાં માણસોનો પ્રવાહ સતત જોવા મળતો. ચંદનની સુવાસ એ રીતે ઘસાઈને વાતાવરણને પવિત્ર રાખે છે.

બીજું તેમના સ્વભાવ બાળકના જેવો નિર્મળ. સાચાદિલી અને સાફદિલી નાના પ્રસંગમાં પણ તેમના વર્તનમાં પ્રગટ્યા વગર રહેતી નહીં. કહેવું કંઈ અને કરવું કંઈ એવી નીતિ પ્રત્યે તેમને નફરત હતી. સાચું લાગ્યું તે પરખાવી દેવાની ટેવને કારણે કવચિત્ કોઈનો અણગમો પણ વહોરવાનો પ્રસંગે ઉપસ્થિત થયો હશે, પણ તેનાથી તે સત્યની વિડંબના થવા દેતા નહીં. કશું છુપાવવાપણું ન હોવાને કારણે મનમાં કશી ભાંજગડ ભાગ્યે જ રહેતી.

ઉપર વર્ણવેલ વ્યક્તિત્વનું સીધઉં પ્રક્ષેપણ તેમના લખાણોમાં જોવા મળે છે. રસપૂર્ણ પણ ગંભીર સાહિત્ય પીરસવાનો તેમનો ઉદ્દેશ હંમેશાં રહેલો. અભિવ્યક્તિ સચોટ હોવી જ જોઈએ, પણ સાથે સાથે ઉત્કૃષ્ટ જીવનભાવનાનું લક્ષ્ય પણ સધાવું જોઈએ એમ તેઓ માનતા. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે જ પોતે સાહિત્યિક કામગીરી બજાવી છે એમ તે કહેતા.

ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. શ્રી જયભિખ્ખુ એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. પ્રાચીન ધર્મકથાને નવીન રસસંભૃત નવલકથારૂપે આસાનીથી યોજી બતાવીને એ દિશામાં તેમણે આદરણીય પહેલ કરી. તેમણે લખેલી ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’, ‘નરકેશ્વરી યા નરકેસરી’, ‘સંસારસેતુ’, ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’, ‘પ્રેમનું મંદિર’, ‘લોખંડી ખાખનાં ફૂલ’ અને ‘પ્રેમાવતાર’ જેવી ઐતિહાસિક તથા પૌરાણિક વસ્તુ પર આધારિત નવલકથાઓએ જૈન સમાજ ઉપરાંત જૈનેતેર સમાજનો પણ સારો ચાહ મેળવ્યો છે.

તેઓ જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વને ગાળી નાંખીને તેને માનવતાની સર્વસામાન્ય ભૂમિકા ઉપર સ્થાપી બતાવે છે. અનેક સંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના માનવવૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર, પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આમ કરવામાં તેમની વેગીલી ને ચિત્રાત્મક શૈલી મહત્ત્વનો ભાગ ભજવે છે.