પક્ષપાતી હક અને ફરજનું મત્સ્યગલાગલીય ન્યાયનું નાટક નિહાળી સર્જકચિત્ત વ્યથિત બને છે.
રાજકારણમાં જ નહીં પણ સામાજિક, ધાર્મિક અને નૈતિક જીવનમાં પણ માનવી અધ:પતનને કિનારે જઈ પહોંચ્યો છે. પ્રેમનું નામ નહિ, સત્ય પર ઇતબાર નહિ, પડોશી ધર્મનો છાંટો નહિ, ઉદારતા અને મહાનુભાવના તો ન જાણે ક્યાંય અલોપ થઈ ગઈ છે. અહમ્ સહુને માથે ચડી બેઠો છે. પુરુષ નિર્બળ બન્યો છે. સ્ત્રી સૌંદર્યની પૂતળી બની છે. નરોત્તમોને જન્માવવા માટે ભૂમિ હવે દિન-પ્રતિદિન નિર્બળ બની રહી છે. વિશ્વબંધુત્વની વાતો કરનારા પ્રાંતીયતાના પંકમાં ખૂંત્યા છે. ચૂંટણી, મત અને અધિકારની દુનિયા અંધારી બની છે. ભોળા લોકોને ભમાવવા જાતજાતના અખતરા અજમાવાય છે. થોડુંક પણ પ્રતિકૂળ પરિવર્તન માનવીથી સહ્યું જતું નથી. અવિશ્વાસ, ભય, આશંકા, પૂર્વગ્રહ ને નમાલા ગજગ્રાહો પૃથ્વીને, પૃથ્વીની તાકાતને નિરર્થક રીતે ભરખી રહ્યાં છે. શાંતિનું નામ નથી, સહકારનો શ્વાસ નથી, સમન્વયની ધીરજ નથી. દિશાઓમાં જાણે યુદ્ધના જ પડઘા સદાકાળ ગુંજ્યા કરે છે. આવી વિચારણાથી ખળભળેલી લેખકની હદયતંત્રીએ આ નવલકથામાં સૂર પૂર્યા છે.
લેખક કહે છે કે આ વિચારણાને કાલ્પનિક નવલકથાનું રૂપ આપીને પણ ગૂંથી શકાત પણ એમ તેમણે સકારણ કર્યું નથી. વર્તમાન યુગની આવી ઘટનાઓ ભૂતકાળનું પુનરાવર્તન જ છે એ બતાવીને લેખકને એવું સિદ્ધ કરવું છે કે જગત જાણે એનું એ જ છે, હજી એમાં ક્યાંય પરિવર્તન આવ્યું નથી અને એ અર્થમાં નવલકથા જેટલી પૌરાણિક છે તેટલી જ અર્વાચીન છે. સ્થળ, કાળ અને વ્યક્તિઓનાં નામકરણ નવાં કરીએ તો જાણે અત્યારે બનતા બનાવોનું જ નામફેર આ ઇતિવૃત્ત છે. કૌશાંબી, અવન્તી, ચંપા કે વિદેહને સ્થાને ઇટલી, જર્મની, ઇંગ્લેન્ડ કે રશિયાને અવશ્ય મૂકી શકાય.
સબળાનાં વર્ચસ્ સામે ઝૂકતી આ પૃથ્વી શું એની એ જ છે ? એમાં પરિવર્તન શક્ય જ નથી ? માણસ શું પશુરાજ્યનો જ પ્રજાજન છે ? જો લેખક એવું જ નિરૂપણ કરે તો તો સમાજને હતાશા કે નિરાશા સિવાય કંઈ જ આપી શકે નહીં. પણ ના, આપણે જાણીએ છીએ કે જયભિખ્ખુ