પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રત્યેક નવલકથાનું તેમણે વસ્તુવિશ્લેષણ, પાત્રપરિચય અને નિરૂપણરીતિને અનુલક્ષીને સમાલોચન કરેલું છે. તેનાં મૂળ તપાસવાનો પણ વ્યવસ્થિત ઉપક્રમ દેખાય છે. પૌરાણિક અને ઐતિહાસિક વસ્તુ પર મંડાયેલી નવલકથાઓની સમીક્ષા કરતી વખતે તેમણે યોગ્ય રીતે જ તેમાંથી ફલિત થતાં પ્રેમ, અહિંસા, કરુણા, અવૈર, અપરિગ્રહ, શૂરત્વ વગેરે મૂલ્યો તારવી બતાવ્યાં છે. શિષ્ટ વિવેચકની ઢબે તેમણે લેખકના પ્રયોજનને લક્ષમાં રાખીને તેમની સર્જક તરીકેની સફળતાનો આંક કાઢવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં તેમની સહૃદયતા અને સમભાવિતા જોવા મળે છે. જોકે અહીંતહીં જોવા મળતી પુનરુક્તિઓ ટાળીને લેખનો બંધ દૃઢ બનાવી શક્યા હોત.

જયભિખ્ખુનો વાર્તાભંડાર વિપુલ છે. ધમકભર્યા વર્ણનો અને રસભરી કથનરીતિને કારણે તેમની વાર્તાઓ વાચનક્ષમ બને છે. પણ તે વાર્તાઓ જૂની પરંપરાની છે એ હકીકત નટુભાઈના ધ્યાન બહાર રહી નથી. ચરિત્રો નાનાં પણ ઊગતી પેઢીના ઘડતરમાં કામ લાગે તેવા છે. જયભિખ્ખુનું સાહિત્ય એકંદરે તંદુરસ્ત જીવનદૃષ્ટિ ઘડી તેવું પ્રેરક છે. માનવતાનાં મૂલ્યોની જિકર કરનાર જયભિખ્ખુનો અવાજ આધુનિકતાના ઘોંઘાટમાં દબાઈ ગયેલો, તેને પુનઃ સંભળાવવાનું પુણ્યકાર્ય કરવા બદલ નટુભાઈ અનેકાનેક અભિનંદનના અધિકારી છે.

અમદાવાદ
એપ્રિલ ૧૨, ૧૯૯૧
– ધીરુભાઈ ઠાકર