પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૩૯
 


ધર્મ વિશેની ફિલસૂફી પણ લેખકની પોતાની છે. તેમના મતે :

જગતમાં ધર્મ એક જ છે, શું સ્ત્રી કે પુરુષ ! માણસને પડતો જે સાચવે અને વિકાસ તરફ લઈ જાય તે ધર્મ ! (પૃ. ૧૭૯)

એક નવો જ અને ઊજમળો વિચાર ભારતીય સંસ્કૃતિમાં રહેલી વારસદાર વિષેની માન્યતાના સંદર્ભમાં લેખક અહીં લઈને આવે છે. હિંદુ સંસ્કૃતિ વારસને ખૂબ જ મહત્ત્વ આપે છે. આ જ કારણે પુત્રનું મહત્ત્વ પણ ઘણું બધું છે. અપુત્ર સ્ત્રી-પુરુષનું ‘વાંઝિયાપણું’ સામાજિક દૃષ્ટિએ પણ નિંદનીય બને છે. આ સંદર્ભમાં નિર્મળા કહે છે : ‘હું પૂછું છું દરેકને અમર થવાનો આવો બળાપો શા માટે ? શા માટે પોતાની લક્ષ્મીનો સાચો વારસ દેશ નથી લેખાતો ? શા માટે એ વારસો ધર્મને નથી અપાતો ? આટલા અનાથાલયો, અપંગાશ્રમો, મજૂરગૃહો, શ્રમજીવીઓ છે, શું તેઓ તમારી દોલતની ખરી જરૂરવાળા વારસદાર નથી ?... શાસ્ત્રોએ વિશ્વબંધુત્વનો અજબ મહિમા ગાયો છે ! વિશ્વબંધુત્વથી જ જગતનું કલ્યાણ લેખ્યું છે, પછી વારસની આ ચિંતા શા માટે ?’ (પૃ. ૧૨૯).

લક્ષ્મીનો વારસો પુત્રને આપવાથી તો દરેક આપણે એનું અહિત જ કરીએ છીએ, એના સાચા વિકાસના રોધક બનીએ છીએ એ વાત કરતાં નિર્મળા કહે છે.

‘વારસ તમારી લક્ષ્મીનું શું કરશે એ કોણ જાણે ? લક્ષ્મી એના દિલને શેતાનનું ઘર નહિ બનાવે એનો શો ભરોસો ? હાથપગ લઈ આવનારને શા માટે મોજશોખનાં સાધનો આપી ઉચ્છંખલ, પરાધીન, પરજીવી ને અપંગ બનાવવો ? જે પોતાની લક્ષ્મીનો પોતાને હાથે ઉપયોગ કરી શકે છે, એને વારસની ચિંતા કદી સતાવી શકતી નથી. વિમળશાહે નખ્ખોદનું વરદાન માગ્યું હતું એ જાણો છો ને ? વારસ વગરનો પુરુષ વિશ્વપુરુષ બની જાય છે.’ (પૃ. ૧૨૯)

આ જ વાત નવલકથામાં અન્યત્ર પણ લેખક દોહરાવે છે :

‘સંતાન એ તો મૂડીવાદી મનોભાવના છે. વિશ્વબંધુત્વની એ વિરોધી છે. આખરે તો જેમ બધી સરિતાઓ એક સાગરમાં સમાય તેમ