પછી જે પરિવર્તનો આવ્યાં એના પરિણામરૂપે અર્વાચીન કાળમાં ટૂંકી વાર્તાનું બાહ્ય અને આંતર ક્લેવર બદલાયું.
આવાં બદલાયેલાં રૂપ-સ્વરૂપવાળી ગુજરાતી ટૂંકી વાર્તા એના સાચા અર્થમાં તો સૌપ્રથમ વાર મળે છે ગાંધીયુગના સર્જકો પાસેથી. નર્મદયુગે બોધાત્મક રૂપે જ નવલિકાઓ આપી તો પંડિતયુગની ગંભીર સાહિત્યોપાસનામાં નવલિકાને નહીંવત્ સ્થાન મળ્યું. ગુજરાતી સાહિત્યની કલાત્મક ટૂંકી વાર્તા સૌથી પ્રથમ પ્રાપ્ત થાય છે. ગાંધીયુગમાં મલયાનિલ પાસેથી, નવલિકાની કલાનો પ્રથમ મૌલિક ઉન્મેષ એમની ‘ગોવાલણી’માં પ્રગટ થયો. મલયાનિલના સમકાલીન ધનસુખલાલ મહેતા ‘પહેલો ફાલ’, ‘હું, સરલા ને મિત્રમંડળ’, ‘સંધ્યા ટાણે’ જેવા અનેક વાર્તાસંગ્રહો લઈને આવે છે. તેમાં હાસ્યરસનું નિરૂપણ ખાસ ધ્યાનાકર્ષક બને છે. ધનસુખલાલ મહેતા પછી આવતા મુનશી ‘મારી કમળા અને બીજી વાતો’ દ્વારા પોતાની વાર્તાકાર તરીકેની શક્તિઓનું દર્શન કરાવે છે. મલયાનિલ, ધનસુખલાલ મહેતા અને મુનશી એ ત્રણ આરંભકાળે નવલિકાની કલાના સાચા મર્મજ્ઞ બન્યા. વાર્તાકળા ખીલવા લાગી અને નવલિકાની સ્વતંત્ર કલાપ્રકાર તરીકેની ગુંજાશનો મર્મજ્ઞોને ખ્યાલ આપ્યો.
મુનશી પછી ‘તણખા’નાં વિવિધ મંડળો લઈને એક બાજુ આવે છે ધૂમકેતુ અને બીજી બાજુ ‘દ્વિરેફની વાતો’નો મધુ ગુંજારવ પ્રસરાવે છે. રા. વિ. પાઠક-દ્વિરેફ. બંને ગુજરાતી વાર્તાસાહિત્યનાં શિખર છે. માનવજીવનના રહસ્યથી સુપેરે અંકિત એવી વાર્તાઓ વિપુલ પ્રમાણમાં લઈને આવતા ધૂમકેતુનો પ્રભાવ જયભિખ્ખુ ઉપર સારા એવા પ્રમાણમાં રહ્યો છે. બંને મિત્રો પણ ખરા. સાહિત્યસૃષ્ટિની એમની મિજલસે કેટલુંક સહિયારું સર્જન કર્યું છે ત્યારે એને મુકાબલે દ્વિરેફની વાર્તાસૃષ્ટિ મર્યાદિત છે. ધૂમકેતુ ભાવનાદર્શી વાર્તાકાર રહ્યા છે જ્યારે દ્વિરેફ વાસ્તવદર્શી. દ્વિરેફની વાર્તાઓમાં લાગણીના અતિરેકને સ્થાને કલાનો સંયમ નજરે પડે છે.
ધૂમકેતુ અને દ્વિરેફની વચ્ચે વાર્તાક્ષેત્રે થોડાં નામોનો ઉલ્લેખ કરવો જોઈએ એમાં ‘સાહેબરામ અને બીજી વાર્તાઓ’ના લેખક રણજિતરામ મહેતા, ‘જીવનમાંથી જડેલી’ના લેખિકા લીલાવતી મુનશી, ‘સંસારલીલા’ અને