પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

‘ગાંધીવાદીની શાન’માંના ભાઈસાહેબ પૃથ્વીરૂપી દેવમંદિરના એવા ગુલાબ છે જેમણે પોતાની સુગંધથી ચિત્તની પ્રફુલ્લતા વધારી છે.

આ સંગ્રહની રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતી રચનાઓમાં જયભિખ્ખુએ એવી વ્યક્તિઓને આલેખી છે જેમણે પોતાની શહીદી દ્વારા આઝાદીની મશાલનાં અજવાળાં વધારવા તેલસિંચણનું કામ કર્યું છે પણ જે પ્રસિદ્ધિમાં આવ્યા નથી. આવા અનામી દેશભક્તોને આ વાર્તાઓ દ્વારા લેખકની શબ્દાંજલિ છે તો સંગ્રહના અંત ભાગે આવતી અડધા ઉપરાંતની વાર્તાઓ જેનું સ્વરૂપ આપણે આગળ જોયું તેમ ‘પંચતંત્ર’ કે ‘હિતોપદેશ’ની બોધકથાઓ જેવું વધારે છે જેને લઘુ કથા પણ ન કહેવાય અને ટૂંકી વાર્તા પણ ન કહેવાય એવી ટૂચકારૂપ કથાનું છે એમાં કોઈ વિચારતણખાને લેખક ટૂંકી કથા દ્વારા બોધિત કરે છે.

સંગ્રહની ઘણી વાર્તાઓની આલેખનપદ્ધતિ આત્મકથાનાત્મક ઢબની છે. ક્યાંક લેખક પોતે પાત્ર બનીને આવે છે જેમકે ‘દેશની લક્ષ્મી’માં, કે પછી પાત્રોને પણ પોતે જ વર્ણનથી ઉપસાવે છે જેમકે ‘બંડખોર’ વાર્તામાં. પાત્રો પોતે પોતાના કાર્યોથી વિકસતાં હોય એવું પાત્રચિત્રણ અહીં ઓછું જોવા મળે છે. લગભગ બધાં જ પાત્રોને લેખકે પોતાની આંગળીથી સહેજ પણ વિખૂટા પાડ્યાં નથી. એને જ કારણે પાત્રનિરૂપણમાં જે પ્રભાવકતા આવવી જોઈએ. જીવંતતા ઉપસવી જોઈએ એ ઓછી અનુભવવા મળે છે. વાર્તાકારની નિરૂપણરીતિમાં કથન-વર્ણનકારની જેટલી સારી છાપ ઊપસે છે, એટલી સંવાદની કલાની ઊપસતી નથી.

આરંભમાં આવતી વાર્તાઓમાં લેખક પોતે જે વિષય ઉપર વાર્તા રચવાનો હોય એની પીઠિકા વાર્તારંભે ખૂબ લંબાણ દાખવે છે. ઘણી વાર તો પીઠિકા જ મુખ્ય બની જાય છે અને વાર્તા ગૌણ, જેમકે ‘ભાષાનાં ભાલાં વાગ્યાં’ વાર્તામાં કન્યાપરીક્ષાનું કાર્ય કન્યાના માતાપિતા, કુટુંબ અને કન્યાના પોતાના માટે કેવું દુષ્કર છે એ વર્ણવવામાં લેખકે અડધી વાર્તા પૂરી કરી છે. કથાતત્ત્વ આરંભાતા પહેલાં પીઠિકા-ભૂમિકાની એક લાંબી પળોજણમાંથી સતત પસાર થવું પડે છે.

વર્તમાનપત્રની કોલમ લખતા લેખકની કેટલીક મર્યાદાઓ હોય છે