જાય છે. એવા નરવીર સવા અને સોમા શેઠની વાત રજૂ થઈ છે. ‘રંગ છે સવા સોમાને’માં. અમદાવાદના સોમા શેઠ ઉપર વંથલીના સવા શેઠે લખી આપેલી હૂંડીમાંના બે આંસુને ઓળખીને સોમા શેઠે એ લાખેણા મોતીમાં સવા શેઠની ન કહી શકાય તેવી મજબૂરીને હૈયાઉકલતથી પારખીને ખરા વખતે સાચી મદદ કરી અને લક્ષ્મીનો સદુપયોગ કર્યો. જયભિખ્ખુની ઉદાત્ત જીવનસંદેશ આપતી આ વાર્તાના લેખકને પણ ‘રંગ છે’ એમ કહેવાનું મન થાય એવી આ વાર્તા એની રજૂઆતની પદ્ધતિને કારણે, કથાવસ્તુ તથા જીવનને ઉદાત્ત બનાવે એવા સંદેશને કારણે નોંધનીય બને છે. ‘અનામી શહાદત’ દેશકાળના નામ નગરની એક એવી શૌર્યકથા છે જેમાં અન્યાયની વેદિ ઉપર આત્મબલિદાન આપી શહીદ થયેલા ચાર બેટડાઓની માતા ગર્વપૂર્વક ખોખલા ન્યાયના ઠેકેદારોને કહી શકે છે કે પોતે સિંહસુતા છે. પોતાના પુત્રો સિંહણને ધાવેલા છે. શીર્ષકનામથી કદાચ ગેરમાર્ગે દોરવાવાય એવી ‘દેરાણી-જેઠાણીનો ગોખ’ વાર્તામાં દેરાણી-જેઠાણીની વાત કેન્દ્રસ્થાને નથી. અહીં તો કેન્દ્રસ્થાને છે મંત્રીશ્વર વસ્તુપાળ અને તેની તેજભરી બુદ્ધિપ્રતિભા. ગુજરાતની અસ્મિતાને વધારનાર આ મંત્રીશ્વરનો ગુજરાત- ગૌરવને વધારતો કિસ્સો અહીં નિરૂપાયો છે. પોતાની પત્ની લીલાવતીની પ્રેરણાથી ગુજરાતને આંગણે એક નવા વિજયના, કહો કે અહિંસાના વિજયના વસ્તુપાળ તોરણ બાંધ્યાં. વણિકવીર બનીને વગર લોહી રેડ્યે ગુજરાતને દિલ્હી સામેની લડાઈમાં વિજયવંતુ બનાવ્યાની વાત અહીં કેન્દ્રસ્થાને છે. વાર્તામાં પતિને સાચો ધર્મ પ્રેમનાર લીલાવતી, પોતાના બુદ્ધિચાતુર્યનો ઉચિત ઉપયોગ કરનાર વસ્તુપાળ, વસ્તુપાળના આતિથ્યથી પ્રભાવિત બનીને એને પુત્રવત પ્રેમ કરી ગુજરાત માથેથી લડાઈનો ભય ટાળનાર મુસ્લિમ રાજમાતા અને માતાની વાતને સ્વીકારી ધર્મઝનૂન ભૂલી વસ્તુપાળ સાથે પ્રેમભરી મૈત્રી બાંધનાર બાદશાહનાં પાત્રો વાર્તામાં નખશિખ સુંદર ઉઠાવ પામ્યા છે. મહાભારતકાલીન કાળને કથાવિષય બનાવતી ‘અન્ન એવો ઓડકાર’ વાર્તા પાંડવોને અન્નનો સાચો મહિમા સમજાવે છે. ‘જેવું અન્ન એવું મન’ ‘અન્ન એ તો માણસનો પ્રાણ છે’ - ખરાબ હવાને લીધે જેમ નુકસાન થાય તેમ ખરાબ અન્ન પણ નકામું એ દંસેશ આપતી આ વાર્તામાં પાંડવોનું અન્નદાનનું અભિમાન લેખક દ્વારા સરસ ઊપસ્યું છે. નાના સાહેબ