પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૮૧
 


જયભિખ્ખુના મતે સ્ત્રી પર જ સંસારના સર્જન-વિનાશનો આધાર છે. માટે સંસારને સ્વર્ગ બનાવવા ઇચ્છનારે સ્ત્રીને સ્વસ્થ, સંયમી અને વ્યક્તિત્વવાળી બનાવવી જોઈએ. ખરેખર તો સ્ત્રીએ પોતે જ પોતાના વ્યક્તિત્વમાં સુધારો કરવો જોઈએ. તેઓ કહે છે, ‘આજની સ્ત્રી પ્રથમ વ્યક્તિત્વ કેળવે, પછી સ્વસ્થતા કેળવે, સ્વસ્થતાના વજ્જર દુર્ગવાળી સ્ત્રી જ સાચી સ્વતંત્રતા માણી શકે.’ (પ્રસ્તાવના પૃ. ૭).

સંગ્રહની વાર્તાઓ લેખકના આ ધ્વનિને પ્રગટાવે છે. અહીં એવી સ્ત્રીની વાતો લઈને લેખક આવ્યા છે જેમણે સંયમ, સ્વસ્થતા, આત્મસમર્પણ, ઉદાત્તશીલ અને ભાવનાભર્યા પ્રેમ દ્વારા નારી હૃદયમાં રહેલા ઉમદા ખમીરનો પરિચય કરાવ્યો છે. આજના સંધિકાળે જ્યારે સ્ત્રીનું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે નારીજીવનનાં ઉમદા રૂપોને પ્રગટ કરતી આ વાર્તાઓ સમાજજીવનની મોંઘેરી મિરાત બને છે.

સંગ્રહની પહેલી જ વાર્તા ‘અંગના’ જેના નામ ઉપરથી સંગ્રહને ‘અંગના’ નામ મળ્યું છે એ એક એવી નારીની કથા છે જેણે ભવતારણ નૌકા બની પોતાનું અને સાધુ બનેલા પોતાના સ્વામીનું જીવન તાર્યું. આ વાર્તાની નાયિકા બંધુમતી પાસે અપૂર્વ સૌંદર્ય હતું અને સાથે સાથે હતું એવું જ અભૂતપૂર્વ સ્વમાન પણ. કોઈની જીવાડી નહીં જીવવાની એની ઝંખના હતી એ જ ગામના યુવાન-સામયિકની નજરમાં આ અલબેલું યૌવન વસી ગયું હતું. પોતાનાં અદ્‌ભુત શૌર્ય અને રૂપસૌંદર્યથી છેવટે બંધુમતિ રૂપી નકલંક મોતી વિંધાયું. બંધુમતી - સામયિકનું દામ્પત્ય લોકોમાં દૃષ્ટાંતરૂપ બન્યું. યુવાનીના મસ્ત હિંડોળે ઝૂલતાં આ યુગલની મુલાકાત એક સાધુ સાથે થઈ અને એની ઉજમાળી વાતોથી બંનેને પોતાની યુવાનીને ઉજાળી લેવાની પ્રેરણા થઈ. બંને સંસારને અસાર બનાવી સાધુ બનીને ચાલી નીકળ્યા. કર્મબળે એક સમયે સાધુ-સાધ્વી બનેલા બંને એક સ્થળે ભેગા મળ્યા. સાધ્વી બંધુમતિને નીરખીને સાધુ સામયિકનું પૂર્વજીવન સ્મરણોમાં જાગી ઊઠ્યું. કામની દુનિયાનું સ્વર્ગ મેળવવા બેચેન બનેલા સામયિકને સંયમની દુનિયાના તેજમાં લઈ જવા સાધ્વી બંધુમતીએ આત્મબલિદાન આપીને પોતાનું અને પોતાના પતિનું જીવન ઉજાળ્યું.