પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 


સ્વામી દયાનંદ સરસ્વતીને મારનાર રસોયા જગન્નાથના પાપ અને પ્રાયશ્ચિત્તને વ્યક્ત કરતી ‘નન્હીજાન’ વાર્તામાં એક એવી નારીના વરવા રૂપનો પરિચય થાય છે જે વેરની આગમાં સંસારના સર્વશ્રેષ્ઠ સાધુત્વને હણવાનું નિમિત્ત બની હતી. નન્હીજાન નામથી ઓળખાતી આ ગણિકા નામ સૂચવે છે એ રીતની મુસ્લિમ યુવતી નહોતી પણ હિંદુ ગણિકા હતી જેણે સ્વામીશ્રી દ્વારા થયેલા અપમાનનો બદલો લેવા હિંદુ ધર્મના અને ઉદાત્ત માનવતાના હિમાયતીની હત્યા કરવા માટેનું કાવતરું ગોઠવ્યું જેનો ભોગ સ્વામીશ્રી બન્યાં. નારીના એક વરવા રૂપનો પરિચય આ વાર્તા કરાવે છે.

ઇતિહાસના એક પ્રસંગને વાચા આપતી ‘મીઠી મહિયારણ’ વાર્તામાં મારવાડના રાવ દુર્ગાદાસ જેમણે પચ્ચીસ વર્ષથી મુગલ સલ્તનત સામે બહારવટું ખેડી મોગલ સલ્તનતને હંફાવી હતી એમને અમદાવાદમાં ઔરંગઝેબના પુત્ર અને સૂબા આજમખાનનું તેડું મળ્યું હતું. તેડાના પ્રેર્યા અમદાવાદ આવેલા આ શૂરવીર યોદ્ધાને શામ દામ દંડ ભેદથી દિલ્હી-દાસ બનાવવાનો મોગલોનો ઇરાદો હતો એમાં સફળ ન થવાય તો દુર્ગાદાસ અને એમના સાથીઓને મોતને ઘાટ ઉતારી દેવાની પણ તેમની તૈયારી હતી. એમનાં આ કાવતરાંને નિષ્ફળ બનાવવામાં અને દુર્ગાદાસને સાવધ કરવામાં અમદાવાદની મીટી મહિયારણ પોતાની અગમવાણીથી કેવો ભાગ ભજવ્યો હતો એ વર્ણવતી આ વાર્તામાં દાદા દુર્ગાદાસનો જાન બચાવવા શૂરવીરતાપૂર્વક મોગલો સામે ઝઝૂમી પ્રાણાર્પણ કરતા દુર્ગાદાસના પૌત્ર અનુપસિંહનું ચિત્ર પણ ટૂંકામાં સરસ ઉપસ્યું છે.

મેવાડના રાણા ઉદયસિંહને બદલે પોતાના પુત્રના પ્રાણ આપી બચાવનાર ધન્ય જનેતા પન્નાદાઈ તો ઇતિહાસને પાને પોતાના આ સમર્પણથી અમર બની ગઈ જ છે. ઇતિહાસના ખૂબ જાણીતા પ્રસંગને સાંકળીને લેખકે આવી જ બીજી એક જનેતા જેણે પોતાના પુત્રને એનો સાચો ધર્મ અને કર્તવ્યનું જ્ઞાન આપી મેવાડની આ અમાનતની રક્ષા માટે જાન કુરબાન કરવાની પ્રેરણા આપી એનું ચિત્ર ઉપસાવ્યું છે.

‘જનેતાની જોડ’ વાર્તામાં. આ જનેતા તે કમલમેરના રાજવી આશરાજની માતા. જ્યારે આશરાજ જૈનધર્મની અહિંસા અને દયા