પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કારણ કે બંનેને નકલંક મોતી પકવવાના હોય છે. જો મર્યાદા તૂટે તો મોતી કલંકિત પાકે. (પૃ. ૩૧)

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં આંતરરાષ્ટ્રીય પ્રેમ અને વિશ્વશાંતિનો સંદેશ પોતાના સાહિત્ય દ્વારા આપનાર વિચારસ્વાતંત્ર્ય અને વ્યક્તિગત સ્વાધીનતાને સંસારની સર્વશ્રેષ્ઠ દોલત માનનાર વિયેનામાં જન્મેલા પ્રસિદ્ધ સાહિત્યકાર સ્ટિફનઝિવગની પોતાના વિચારોમાં મક્કમ રહેવાને કારણે સત્તાની ખફા વહોરી લીધાની વાતને વર્ણવે છે. સત્તાનું દાસત્ત્વ નહીં સ્વીકારી જાતે ઝેર ઘોળી જીવનનો અંત આણનાર આ સર્જકની સિદ્ધાંતપ્રિયતાનું અચ્છે શબ્દચિત્ર વાર્તાકાર ઉપસાવી શક્યા છે.

મનનું ઘડતર કર્યા વિના ચણતર શરૂ કરનાર આજની યુવા પેઢીને પથદર્શન પૂરું પાડનાર ‘કલ્પના અને શૈલ’ માનવજીવનના અંજવાસ અને અંધાર બંનેને ચિત્રરૂપ શબ્દદેહ આપે છે. કલ્પના અને શૈલ પ્રેમના રૂપકડા નામને બદનામ કરનાર અંધાર છે તો અંતરથી મહાન પણ મહાત્માપણાના ભારણ વગરનો મનસુખ વાર્તાનો અંજવાસ છે. હૃદયના સાચા સંતત્ત્વની વ્યાખ્યા જયભિખ્ખુ આ વાર્તામાં આપે છે.’ કપડામાં સંત નથી, ગીતામાં સંત નથી, આશ્રમમાં સંત નથી, સંત તો આવા છે જે અંધારી રાતમાં આવે છે, ને અંધારી રાત પૂરી થાય છે એ પહેલા ચાલ્યા જાય છે. ફક્ત કોઈ વૃક્ષના પર્ણ પર સત્કર્મના બે જલબિંદુ મૂકીને !’ (પૃ. ૫૨). માબાપ દ્વારા અયોગ્ય વયે અપાતી સ્વતંત્રતા બાળકો માટે કેવાં કુપરિણામો લાવનાર બને છે એનું નિરૂપણ આ વાર્તામાં સુપેરે થયું છે.

‘ઉદ્ધાર’ વાર્તા જાવડશા દ્વારા જૈન તીર્થ પાલીતાણાના થયેલા જીર્ણોધ્ધારને વાર્તા ઓછી અને કથન વધારે એ ઢબે વર્ણવે છે તો એ પછી આવતી ‘ચંદ્રની રેખ’ માનવજીવનના ગાઢ અંધકારમાં ક્યારેક ચંદ્રની આછી પ્રકાશરેખાની જેમ ફરકી જતા ઉદાત્ત ભાવને વાચા આપે છે. પોતાના પતિ ઉપર વિશ્વાસ મૂકીને આવેલા બહારવટિયા મામદને પકડાવી મોટું ઇનામ પામવાની લાલચવાળા દરબારની પત્ની એને સવેળા ચેતવી ભગાડી દે છે ત્યાં ચંદામાં રહેલા ચંદ્રરેખ જેવા ઉમદા અતિથિધર્મના પાલનની રેખ જોવા મળે છે.