પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સમ્રાટ હર્ષના દરબારનું અણમૂલું કવિરત્ન બાણભટ્ટના જીવનને સર્જકતાના પંથે વાળનાર એક અનુપમ નારીરત્નની કથા ‘અજ્ઞાન દેવનું મંદિર’માં વર્ણવાઈ છે. નારીનું હૃદય અને દેહ અજ્ઞાત દેવનું મંદિર છે. તેની પૂજા થાય, એને મસળાય નહીં એ વાતની પોતાના વર્તન દ્વારા પ્રતીતિ કરાવનાર કવિની પ્રિયતમા નિપુણાએ બાણભટ્ટમાં રહેલી સર્જકતાને જગાડવા કેવો આત્મભોગ આપ્યો તે વાર્તામાં નિરૂપાયું છે. સાચો સ્નેહ માનવીને સ્વધર્મથી વિમુખ ન બનાવે, એ તો સ્વધર્મપાલન અર્થે ત્યાગ અને તપશ્ચર્યામાં જ રાચે એ ધ્વનિ નિપુણાના પાત્ર દ્વારા વાર્તાકારે સુંદર રૂપે રજૂ કર્યો છે.

‘ભૂખી લક્ષ્મી’ એક એવી બેસહારા નારી અને માતાની દર્દકથા છે જેણે પોતાની પંદર દિવસની બાળકીને ત્યજી દીધી એ આશાએ કે બે બાળકોનું ગુજરાન જેમતેમ ચલાવતી પોતે આ બાળકીનું પોષણ નહીં કરી શકે અને અન્યત્ર જશે ત્યાં વધુ સુખી થશે. ન્યાયની કોર્ટમાં એને આ ગુના માટે પંદર દિવસની જેલની સજા થાય છે ! વાર્તામાં સમાજ સામે, સરકાર સામે અને સમાજમાં કહેવાતા વડેરાઓ સામેનો વાર્તાકારનો આક્રોશ કલાતત્ત્વના ભોગે પણ વ્યક્ત થયો છે.

જીવનમાં વર્ષોની કિંમત નથી, પળની કિંમત છે. એક પળનો પણ પ્રમાદ પાપરૂપ છે, એ લેખકચિંતવ્યો ધ્વનિ પ્રગટાવતી ‘યુગોથી મોટી ક્ષણ’ વાર્તા મહાયોગી પ્રસન્નચંદ્રના મનની વિવિધ ક્ષણોના ચિતારને ભગવાન મહાવીર સ્વામી દ્વારા બિંબિસાર સામે રજૂ કર્યાની કથા છે. તો ઇમાનની રક્ષા કાજે પુત્રસ્નેહનું પણ બલિદાન ધરનારી એક ઇતિહાસના પૃષ્ઠોમાં વીસરાયેલી મહાન માની ગૌરવભરી કરુણકથા ‘અમ્મા’માં વર્ણવાઈ છે. ગુરુ ગૌવિંદસિંહની પત્ની ગુજરીબાઈ જેના બે પુત્રો ધર્મ કાજે લડતા લડતા રણમેદાનમાં મર્યા અને બંને પરધર્મીઓએ જીવતા દીવાલમાં ચણી લીધા છતાં જેણે પરધર્મની આણ ન સ્વીકારી એવી ‘સિર દિયા પણ સાર ન દિયા’ની આત્મસમર્પણ જ્યોત જગાવતી માનું મોંઘેરું ચિત્ર ‘અમ્મા’માં ઉપસ્યું છે.

સત્‌ની ધજાને અણનમ રાખવા સ્વનું બલિદાન દેતા બહારવટિયા વાલા