પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વિષયદૃષ્ટિએ એક નવા જ પ્રકારના કન્યાદાનને વર્મવતી સંગ્રહની પ્રથમ અને શીર્ષકનામી વાર્તા ‘કન્યાદાન’ માં વલ્લભીપુર-વળાના રાજા એભલે પોતાની પ્રજાની દીકરીઓના સ્વહસ્તે આપેલા કન્યાદાનની વાત વર્ણવાઈ છે. મોટું દાપું મેળવવાના લોભે વળાના બ્રાહ્મણોએ કાયસ્થ કોમનું પુરોહિતપદું કરવાનો ઇન્કાર કરી દીધો. બ્રાહ્મણ વગર દીકરા-દીકરીઓનાં લગ્ન કોણ કરાવે ? કાયસ્થ કોમના હરેક ઘરમાં પચ્ચીસ-ત્રીસ વર્ષની દીકરીઓ કુંવારી રહી. સાપના ભારા સમી આ દીકરીઓની યુવાની જાળવવાનું કામ પ્રત્યેક માબાપને માટે અતિશય અઘરું બની ગયું. એકેએક કાયસ્થનું ઘર જુવાન દીકરીઓ માટે કેદખાનું બની ગયું. દીકરાઓ શીલની વાડ ટપારવા તૈયાર થઈને બેઠા. પોતાની પ્રજાનો એક મોટો વર્ગ આવી ચિંતામાં સપડાયેલો જોઈ રાજાએ વાલમ બ્રાહ્મણોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બ્રાહ્મણપણાના અભિમાનવાળા, ધનના લાલચુ અને બ્રાહ્મણને ઉચિત ગુણો વગરના આ પુરોહિતો જ્યારે કોઈપણ હિસાબે પોતાની વાત ત્યજવા તૈયાર નહોતા ત્યારે એમને બાજુ ઉપર મૂકીને પ્રજાના બાપ તરીકે રાજાએ સામૂહિક કન્યાદાન દીધું. વાર્તામાં જ્ઞાતિઓનું રાજકારણ, સમાજ ઉપર બ્રાહ્મણ પુરોહિતોનો અંધશ્રદ્ધાભર્યો ડરામણો પ્રભાવ, પ્રજાકીય રાજવી તરીકેનું એભલનું વ્યક્તિત્વ સુંદર ઊઠાવ પામ્યાં છે. ‘શંકરના નંદી જેવો તળાજાનો નાનેરો ડુંગર’ (પૃ. ૯) માંની ઉપમા હૃદ્ય છે.

શ્રીમતી પકવાસાની ‘ગુલાબની શૈયા’ વાર્તાના ભાવાનુવાદરૂપે એ જ શીર્ષકનામ રાખી લખાયેલી વાર્તામાં ભારતને આંગણે વસેલા એક અંગ્રેજ મિ. ફિલનનો ગુલાબપ્રેમ તો વર્ણવાયો જ છે પણ એ પ્રેમને કારણે એમના અંગત દામ્પત્યજીવનમાં સર્જાયેલી કરુણ વિસંવાદિતા, એક બીજાને અતિશય ચાહતા અને છતાં નાનકડી બાબતમાં સમાધાન ન કરી શકવાને કારણે છેવટે દુઃખની અગ્નિપરીક્ષામાં પ્રેમના સોનાને તપાવી ધૂળરૂપે સદાકાળ માટે વિખૂટા પડેલા પણ અંતરથી વધારે નજીક આવેલાં પતિ પત્નીની હૃદય કથા કહે છે. જીવનમાં જેણે ગુલાબશૈયા પામવી છે એણે કંટકને પણ વેઠવાની તૈયારી રાખવી જ પડે. ગુલાબ અને કંટક એક સાથે જ રહેલાં છે, એ વાર્તાનો ધ્વનિ વાર્તાન્તે સુંદર રૂપ આપે છે, રૂપ અને સૌંદર્ય વચ્ચેનો તફાવત સમજાવતી લેખકની દૃષ્ટિ ‘આત્માને આકર્ષે તે સૌંદર્ય, દેહને આકર્ષે તે રૂપ’ (પૃ. ૧૨) વાર્તામાં સતત અનુભવાય છે.