‘જાદુઈ અરીસો’ બાળવાર્તા જેવી છે. જેમાં એક ચમત્કારિક મનાતા અરીસાના જોરે કુટુંબમાં સાવકી મા, દીકરી અને બાપની વચ્ચે થતા મનદુઃખોનો અંત આવે છે. જ્યારે ‘કાશીસે મથુરા ન્યારી’ જૂની અને નવી પેઢી વચ્ચેના ભેદને વર્ણવે છે. વાર્તામાં જૂની પેઢીની ઉદાત્તતાને વાર્તાકારે નિરૂપી છે. કાશીથી જેમ મથુરા ન્યારી જ રહે એમ અહીં પણ જૂની પેઢી નવી પેઢીથી ન્યારી છે એ વાર્તાતત્ત્વ વગર નિબંધાત્મક ઢબે વર્ણવ્યું છે.
શહેરી સંસ્કૃતિએ ગ્રામ સંસ્કૃતિ ઉપર કરેલા આક્રમણને કારણે ગ્રામસંસ્કૃતિનાં જે ઉમદા તત્ત્વો હતાં એ ધીમે ધીમે નષ્ટ થતા ગયાં એને કારણે સર્જાયેલી કરુણતાને વર્ણવતી ‘સાચા ઘીનો દીવો’ વાર્તામાં પણ કથાતત્ત્વ ઓછું, કટાક્ષતત્ત્વ વધુ છે. જ્યારે પ્રેમના કસુંબલ રંગને અભિવ્યક્ત કરતી ‘કસુંબલ રંગ’ વાર્તામાં રાજાની કુંવરી પ્રેમકુંવરનું નાટક કંપનીના એક નાચીઝ નટ શ્યામસુંદર સાથેના પ્રેમનું, એ પ્રેમને કારણે શ્યામસુંદરને વેઠવી પડેલી મુશ્કેલીઓનું, મુશ્કેલીઓને વેઠતા પણ પ્રેમની અનોખી લહેજત માણતા શ્યામસુંદરનું અનેરું નિરૂપણ વાર્તાકારે કર્યું છે. તો ‘આનંદમયી’ વાર્તા મા આનંદમયીના જીવનનો આલેખ ટૂંકા વ્યક્તિચિત્ર રૂપે આલેખે છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘નારી અને નર’ અન્યત્ર પ્રસિદ્ધ થયેલી અને પુનરાવર્તિત વાર્તા છે.
‘કન્યાદાન’ વાર્તાસંગ્રહની આમ બધી વાતો નહીં પણ કેટલીક વાર્તાઓ નારીજીવનને અનુલક્ષીને લખાઈ છે. એમાંની થોડી કલાત્મક છે. બાકીની પ્રચારાત્મક કે નિબંધાત્મક સ્વરૂપની વધુ છે.
‘મનઝરૂખો’ :
‘મનઝરૂખો’ જીવનધર્મી વાર્તાકાર જયભિખ્ખુનું સર્જન છે. સંગ્રહની એકવીસ વાર્તાઓમાં લેખકે મનઝરૂખાના વૈવિધ્યવંતા રૂપસ્વરૂપો આલેખ્યાં છે. શ્રી જયભિખ્ખુ માને છે કે સંસારસાગરને સુખેથી પાર કરાવવામાં માનવીનો મનઝરૂખો અગત્યનો ભાગ ભજવે છે. પ્રભુતા કે પામરતાનો વાસ માણસના મનમાં છે. જેવું મન એવો માનવી. સંસારના સર્વ સુભગ પ્રયત્નો આ મનઝરૂખાની કેળવણીના છે. શાળા-મહાશાળાઓ, મઠો અને ઉપાશ્રયો, કોર્ટો અને જેલો એ બધાંય માણસના મનને મજબૂત અને મનોહર બનાવવા