વાર્તાસંગ્રહની જેમ વાર્તાકારે સંગ્રહની પ્રત્યેક વાર્તાને પણ શીર્ષકનામ આપ્યાં છે. લગભગ સાડા ત્રણસો જેટલી વાર્તાઓનાં શીર્ષકો ઠીક ઠીક વૈવિધ્યવાળાં છે. એમાં કેટલાંક મુખ્ય ઘટનાનાં સૂચક છે, જેમકે ‘ધોળી ધજાનો ચોર’ (ગુલાબ અને કંટક), ‘પારકા ઘરની લક્ષ્મી’ (પારકા ઘરની લક્ષ્મી), ‘આમચી મુંબઈ’ ‘સંઘર્ષ’ (યાદવાસ્થળી). કેટલાંક પાત્રનામ સૂચક છે. જેમકે ‘હીરામાણેક’ (માદરે વતન), ‘ભરથરી ને પિંગળા’ ‘શહીદ પીરઅલી બુકસેલર’ ‘નાના સાહેબ’ (ગુલાબ અને કંટક), ‘અમીચંદ’ ‘શકુંતલા’ (ઉપવન), ‘લવંગિકા’ (યાદવાસ્થળી). કોઈક સ્થળનિર્દેશ કરે છે, જેમકે ‘બૂરો દેવળ’ (લાખેણી વાતો), ‘દૂદા હરિની વાવ’ (સતની બાંધી પૃથવી). કૌતુકપ્રિય વાતાવરણનું નિદર્શન કરતાં શીર્ષકોમાં ‘મરઘી બોલી’ (માદરે વતન) તથા કુતૂહલોદ્દીપક શીર્ષકોમાં ‘અઢાર નાતરાં’ (વીર ધર્મની વાતો ભા. ૪), ‘ગણિકા સતી’ (કર લે સિંગાર), ‘પાણખાણનું મોતી’ (માટીનું અત્તર), ‘દીવા પાણીએ બળ્યા’ (મનઝરૂખો), ‘રાજા નામનું પાપ’ (મનઝરૂખો) નોંધપાત્ર છે. કેટલાંક શીર્ષકો કાવ્યાત્મક છે. જેમ કે – ‘પ્રેમપંથ પાવકની જવાળા’ (પારકા ઘરની લક્ષ્મી), ‘આત્મસમર્પણના અસ્તિ’ (વીર ધર્મની વાતો ભા. ૨), ‘જિન્હોને અપને ખૂન સે’ (માદરે વતન), ‘જલમેં મીન પિયાસી’ (યાદવાસ્થળી), ‘મન વૃંદાવન તન વૃંદાવન’ (મનઝરૂખો) કેટલાંક પાત્રનાં કોઈ વિશિષ્ટ લક્ષણસૂચક શીર્ષકો મળે છે જેવાં કે ‘ચૌદશિયો’ (કચન અને કામિની), અણદાગ (માટીનું અત્તર), રાષ્ટ્રનેતાનો ઇમાન (યાદવાસ્થળી). કેટલાંક શીર્ષકો વાર્તાના ધ્વનિનાં સૂચક છે જેમકે ‘ગંગા ગટરમાં’ (કંચન અને કામિની), ‘નાટકનું નાટક’ (વીર ધર્મની વાતો ભાગ. ૪), ‘કામનું ઔષધ કામ’ (લાખેણી વાતો), ‘લીલો સાંઠો’, (લાખેણી વાતો), ‘કામદેવના ગધેડા’ (લાખેણી વાતો), ‘દૂધનો ઇમાન’, ‘મીઢળબંધો’ (કન્યાદાન) તો કેટલાંક કોઈ ભાવનાનાં સૂચક છે, જેમકે ‘માટીનું અત્તર’ (માટીનું અત્તર), ‘મનઝરૂખો’ (મનઝરૂખો).
જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિ વિશાળ, વ્યાપક વિષયવૈવિધ્યનું અને એવાં જ વિશિષ્ટ દર્શનનું આલેખન કરીને ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં નોંધપાત્રતા સિદ્ધ કરે છે. વસ્તુસામગ્રીના વૈવિધ્યને કારણે આકારલક્ષી પરિણામોમાં ફેર પડવાનો સંભવ સ્વાભાવિક છે, અને તેથી જ કોઈ પણ