પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે. ‘નિગ્રંથ ભગવાન મહાવીર’માં સામાન્ય વાચક પણ રસભેર વાંચી જાય એ રીતે આખી વાત એમણે મૂકી છે. અને છતાં આ ચરિત્રની વિશેષતા એ વાતમાં છે કે શાસ્ત્રોમાં આલેખિત મહાવીરના જીવન વિષેની મુખ્ય મુખ્ય હકીકતોમાંથી એક પણ હકીકત તેમણે છોડી નથી.

મહાવીર સ્વામીના જન્મથી નિર્વાણ સુધીની તેમની આત્મસિદ્ધિની સાધનાનો સળંગસૂત્ર પરિચય કરાવતા પંચાવન પ્રસંગો એમાં એમણે રજૂ કર્યા છે. આ ચરિત્રના પૂર્વ ભાગમાં પ્રસંગોનું નિરૂપણ સચોટ અને હૃદયંગમ છે, ચરિત્રકારની ભાષા પણ સરળ અને સુબોધ છે તથા પ્રસંગો પણ સંક્ષિપ્ત-સચોટ છે, પણ ઉત્તરભાગમાં એવી પ્રવાહિતા જળવાઈ નથી. ભગવાન મહાવીરનો ઉપદેશ, વિચારસરણી અને તત્ત્વચર્ચાને સમજાવતા પ્રસંગો અને સંવાદો દીર્ઘસૂત્રી થાય છે. આખું યે જીવનચરિત્ર એવી છાપ ઉપસાવે છે કે જાણે ચરિત્રકારને ચરિત્રનાયકના વ્યક્તિત્વ કરતાં એની વિચારસરણીમાં તો વધુ રસ નથી પડી ગયો ને ? અલબત્ત, આખાયે ચરિત્રમાંથી સાંપ્રદાયિકતાના તત્ત્વને બને એટલું ગાળી નાંખવાનો જયભિખ્ખુએ ઉમદા પ્રયત્ન કર્યો છે. છતાં રસ અને જ્ઞાન બંનેનો સમન્વય કરવા જતાં ગ્રંથના પૂર્વ વિભાગમાં રસ અને ઉત્તર વિભાગમાં જ્ઞાન વચ્ચે આ કૃતિ વહેંચાઈ ગઈ છે.

ચરિત્ર સાહિત્યક્ષેત્રે ભગવાન મહાવીર વિષે જ્યારે નહીવત કાર્ય થયું હતું એવે સમયે જયભિખ્ખુના આ ચરિત્રે એક દિશાસૂચકનું કામ કર્યું છે એ દૃષ્ટિએ તેમજ જયભિખ્ખુ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હોવાની પ્રતીતિ પણ આ પુસ્તક કરાવે છે, એ રીતે મહાવીર સ્વામીનું એક પ્રમાણભૂત ચરિત્ર બની રહે છે.

જૈન સાહિત્યની વિરલ વિભૂતિઓ ઉપરાંત ઇતિહાસની સુપ્રસિદ્ધ વ્યક્તિઓને નાયક બનાવીને પણ જયભિખ્ખુ ઘણાં બધાં ચરિત્રો આપે છે. આ ચરિત્રોમાં, ‘સિદ્ધરાજ જયસિંહ’ ‘ઉદો મહેતા’ અને ‘મંત્રીશ્વર વિમલ’ વિશેષ નોંધપાત્ર છે. આ ચરિત્રોમાં ચરિત્રકારે સિદ્ધરાજની મહત્તા, ઉદા મહેતાની ધર્મપરાયણતા અને વીરતા તથા મંત્રીશ્વર વિમલદેવની ઉદારતાનું