પ્રકરણ ૭
પત્રકાર જયભિખ્ખુ
આજે જયભિખ્ખુનું સાહિત્યસર્જન તપાસવાનું થાય છે ત્યારે એ વાત નોંધારી તરી આવે છે કે સર્જક જયભિખ્ખુ ઉપર પત્રકાર જયભિખ્ખુનો પ્રભાવ ખૂબ મોટો રહ્યો. અતિવ્યાપ્તિનો દોષ કરીને પણ એમ કહેવાનું મન થાય કે પત્રકાર જયભિખ્ખુએ સર્જક જયભિખ્ખુને વિપુલ સાહિત્યસર્જન માટેની ઘણી મોટી સામગ્રી પૂરી પાડી છે, અને એ જમાનામાં બહુખ્યાત સર્જક એ બની રહ્યા એનું કારણ પણ એ જ કે દર અઠવાડિયે કે મહિને આ સર્જકની કોઈ ને કોઈ વાર્તાકૃતિ, પ્રસંગલેખ, કથાઆલેખન દ્વારા વર્તમાનપત્રો કે સામયિકોની થપ્પીઓમાં લોકોના ઘેર-ઘેર એ પહોંચી જતા ને દરેક અઠવાડિયે પખવાડિયે નિયમિત વંચાતા. એનું એક સુંદર પરિણામ એ આવ્યું કે સતત સર્જનલક્ષી વ્યાપાર ચાલતો રહ્યો હોવાથી જયભિખ્ખુ લોકખ્યાત પણ થયા અને કેટલીક નોંધપાત્ર કૃતિઓને આધારે તેઓ કેટલાંક વિદ્વાનોમાં પણ ગણનાપાત્ર તો બન્યા છે.
જે જમાનામાં પત્રકાર જયભિખ્ખુનું બહુવિધ બહુલક્ષી સાહિત્યસર્જન આપણને મળે છે એ જમાનાની તાસીર જરા જુદી હતી. આજે એ તાસીર સાવ બદલાઈ ગઈ છે. પણ એ જમાનાના સર્જકો છાપાંના લેખોની પ્રસિદ્ધિથી અળગા રહેતા. પણ ‘જન્મભૂમિ’ અને ‘મુંબઈ સમાચાર’ જેવાં અતિખ્યાત દેનિકોના દૃષ્ટિવંતા માલિકો અને સંપાદકોએ પ્રજાના સમૂહને વૈવિધ્યવંતુ સાહિત્ય પીરસવાના ઉલ્લાસભર્યા કોડમાંથી કેટલાક સાહિત્યકારોને પોતાનાં દૈનિકોમાં નોકરીએ રાખ્યા અથવા બહારથી લખતા લેખકોને ‘સ્થંભઆલેખકો’ તરીકે નિમંત્ર્યા. એમાંથી ‘મેઘાણી સ્કૂલ’, કકલભાઈ કોઠારી સ્કૂલ જેવી પરંપરામાં ઘણા નામી-અનામી સર્જકો પ્રકાશમાં આવ્યા. ખુદ ગાંધીજી જેવાએ પણ પ્રજાના મોટા સમુહો સુધી પહોંચવા Mas Media એવા આ Pressનો આશરો લીધો. અમૃતલાલ શેઠ જેવાઓએ તો બ્રિટિશ સલ્તનત સામે બાથ ભીડવા પ્રેસને વિકસાવ્યું. એમાંથી ગુજરાતમાં અને ગુજરાતીમાં ઘણી કૉલમો વિકસી.