પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કમલને ખોળે જીવતા અને શબ્દનો વેપલો કરતા સર્જકને અનેકોના હૈયામાં આવું સ્થાન મળે એ જ તો એની મોટામાં મોટી સિદ્ધિ. કોઈપણ જાતનો નોકરી ધંધો સ્વીકાર્યા વગર માત્ર ‘કલમી જીવ’ તરીકે જયભિખ્ખુ આટલા લાંબા ગાળા સુધી મોટા જથ્થામાં સાહિત્ય આપીને પોતાના યોગક્ષેમનું નિર્વહન કરતા રહ્યા. એનાથી મોટી સિદ્ધિ સર્જકને બીજી કઈ જોઈએ ?

જયભિખ્ખુના સર્જક જીવનનો વિચાર કરતાં એમના કવનમાં સાહિત્ય અને પત્રકારત્વ બંનેનું પરોઢ એક સાથે ઊગ્યું છે. એક બાજુ નવલકથાની રચના શરૂ કરી તો બીજી બાજુ ‘જૈનજ્યોતિ’ અને ‘વિદ્યાર્થી’ સાપ્તાહિકમાં એમણે વૈવિધ્યપૂર્ણ લેખો લખીને સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. એથી યે વિશેષ તો આવતી કાલના નાગરિકો સમા વિદ્યાર્થીઓને પોતાની તેજસ્વી કલમ દ્વારા જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો. આ બંને ‘સાપ્તાહિક’નું લેખન એ એમના પત્રકારત્વનો આરંભ ગણાય.

એવામાં ‘રવિવાર’ સાપ્તાહિકનો પ્રારંભ થયો. એના તંત્રી ઉષાકાન્ત જે. પંડ્યા પાસે એક દિવસ લાલ દોરાથી બંધાયેલું નાનું બુકપોસ્ટ આવ્યું. એ બુકપોસ્ટમાં ‘જયભિખ્ખુ’ તખલ્લુસધારી એક લેખકનો રસપાંખડીઓ નામનો લેખ હતો. એની સુવાસ ઉષાકાન્ત પંડ્યાને સ્પર્શી ગઈ અને પછીના ‘રવિવાર’ સાપ્તાહિકમાં એ લેખ પ્રગટ થયો ને ઉષાકાન્ત પંડયાએ એ લેખના મથાળે નોંધ મૂકી – ‘રસપાંખડીઓની સુગંધથી વાચકોના હૃદય મહેકી ઊઠે એવું આમાં છે.’ ને એ તંત્રીએ જયભિખ્ખુને ‘રવિવાર’ સાપ્તાહિકના કાયમી કટાર લેખક તરીકે નિમંત્રણ મોકલ્યું. ગોઠડી જામી - કૉલમ જામી. ‘રવિવાર’ સાપ્તાહિકમાં કાયમી લેખક તરીકે તેઓ લેખ મોકલતા થયા અને સંપાદકીય નોંધો વાચકોમાં ચાહના મેળવતી થઈ. લેખોમાંથી જયભિખ્ખુ વાર્તાઓ તરફ વળ્યા ને એમાં આવતી વાર્તાઓએ આમ જનતામાં એ સાપ્તાહિકને લોકપ્રિય બનાવ્યું. પરિણામ એ આવ્યું કે ‘રવિવારને લીધે જયભિખ્ખુ નહીં પણ જયભિખ્ખુને લીધે રવિવાર’ એમ એ સાપ્તાહિક અને લેખક એકબીજાના પર્યાયવાચક બની ગયા.

જયભિખ્ખુએ લખવાની શરૂઆત કરી ત્યારે ત્રણ ઉપનામથી તેઓ