પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પત્રકાર જયભિખ્ખુ’એ એક આગવા પ્રકારની કૉલમ લખી એનો અહીં ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. ‘મુનીન્દ્ર’ સાથેની મુલાકાતોની ભાષામાં ‘જાણ્યું છતાં અજાણ્યું’ કૉલમ ‘મુનીન્દ્ર’ ઉપનામ સાથે એમણે એ જ ગુજરાત સમાચારમાં ઘણા લાંબા સમય સુધી લખી. એના પરિપાકરૂપે એ જ નામના ત્રણ સંગ્રહો પણ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. આ કૉલમમાં ગેબી જગતને અગોચર પ્રસંગોનું આલેખન તેઓ કરતા. સૃષ્ટિબુદ્ધિ અને મનના વિચારસંતુલનને ગળે ન ઊતરે એવા જગતના બનાવો એમાં તેઓ આલેખતા પણ સાથે એમની એ જાગૃતિ હતી કે આવાં લખાણો વાંચવાથી ક્યારેક સમાજમાં ‘અંધશ્રદ્ધા’ કે ‘વહેમની સૃષ્ટિ’નું નિર્માણ થઈ જતું હોય છે એ બાબતનો જયભિખ્ખુને પણ ખ્યાલ હતો. એટલે એવું કોઈ તત્ત્વ એ પ્રસંગ-આલેખનમાં આવી ન જાય એની તેઓ જાગૃતિ રાખતા.

ઘણા લાંબા ગાળા સુધી જયભિખ્ખુએ એક કરતાં વધારે સામયિકોમાં નિયમિત સ્વરૂપે કૉલમો લખીને મબલખ સાહિત્ય ગુજરાતી સાહિત્યને આપ્યું. એમના સમગ્ર સાહિત્યસર્જનનો ઘણો મોટો ભાગ પત્રકાર જયભિખ્ખુની દેન છે. પણ એ સાહિત્ય પત્રકારી ન રહેતાં ચિરંજીવ બન્યું છે. એમની એ વૃત્તિ-પ્રવૃત્તિમાંથી નવલકથાઓ, વાર્તાઓ, વાર્તાસંગ્રહો, પ્રસંગકથાઓ અને બાળસાહિત્યનાં ઢગલાબંધ પુસ્તકો આપણને મળ્યાં છે. જેનો મુખ્ય સૂર કશું ઊણું-અલૂણું નહીં પણ સત્ત્વશીલ અને બોધદાયક મૂડીવાળું સાહિત્ય છે. જીવનલક્ષી પત્રકાર જીવનલક્ષી સાહિત્ય આપીને અનેકોને પ્રસન્ન કરી ગયા છે.

એક રીતે જોઈએ તો કલમને વહેતી મૂકનાર કોઈ પણ સર્જક સરવાળે તો જીવનલક્ષી જ હોય છે. જીવન જીવતાં મનુષ્યોના અનુભવો અને પોતાના અધ્યાસોને આધારે સર્જક સાહિત્યની રચના કરે છે અને એ દ્વારા જીવન જીવતાં મનુષ્યોને સ્પર્શવાનો એને અભિલાષ હોય છે. આ બાબત પત્રકારને તો અનેકધા લાગુ પડે છે. પત્રકારનું કર્તવ્ય જ સમાજજાગૃતિનું છે. સમાચાર હોય કે કટારલેખન, પત્રકારે સૌ પ્રથમ વ્યવસાયની આદર્શવૃત્તિ જાળવવાની હોય છે. જયભિખ્ખુએ એ આદર્શો જાળવ્યાં છે અને માનવમૂલ્યોની વિવિધલક્ષી પ્રતિષ્ઠાને અદકેરી સિદ્ધ કરી છે.