પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 


કોઈપણ સર્જકને વાંચવો એ એક વાત.

વાંચીને માણવો એ બીજી વાત.

એના સર્જનનો અભ્યાસ કરી, સંશોધન-પદ્ધતિએ વિચારસ્થાપના કરવી એ ત્રીજી મહત્ત્વની – વૈજ્ઞાનિક ચલણ-વલણ સાધતી વાત છે. નાનાં-મોટાં ૩૦૦ જેટલાં પુસ્તકો સાથે કામ પાડવાનું થયું. જયભિખ્ખુએ ખેડેલા વિવિધ પ્રકારો, એનાં વિષયવસ્તુ, એનો કેન્દ્રવર્તી વિચાર, એના સામાજિક સાંસ્કૃતિક સંદર્ભો વગેરેને તપાસી-સંશોધી લેખનસ્વરૂપે મૂકવાનાં હતાં. પ્રત્યેક કૃતિની ક્ષમતા અને એને આધારે સમગ્રલક્ષી સક્ષમતાનાં તારણો કાઢવાનાં હતાં. પ્રત્યેક કૃતિના સર્જનઉન્મેષોને તપાસી એના કેન્દ્રમાં રહેલ સર્જકીય વિભાવનાનો મહિમા જોવાનો હતો.

જોતો ગયો, તપાસતો ગયો, સારવતો ગયો. સર્જનનો અગાધ રાશિ મારી સામે ખડો થયો. કપરું બન્યું કામ.

સર્જકક્ષમતા નોંધપાત્ર રીતે ઊંચી લાગી.... તારવણીઓ મળતી ગઈ.... એમાંથી નવલકથા અને ટૂંકી વાર્તા વિશેનાં પ્રકરણો સ્વાભાવિક રીતે જ પ્રસ્તાર પામ્યાં. નાટક-ચરિત્ર ઇત્યાદિમાં પણ કશું જતું કર્યું નથી. એનો સંતોષ છે... નવલકથાકાર — એ સ્વતંત્ર મહાનિબંધના વિષયો બની શકે એવી ક્ષમતા એમાં છે. ભવિષ્યની પેઢીના કોઈ કામ કરનારને માટે આટલો ઇશારો કરવાનું પ્રલોભન હું આ તબક્કે રોકી શકતો નથી.

જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જન સંદર્ભે પૂર્ણદર્શન પામવા — પમાડવાનો આ અવસર શ્રમસાધ્ય હોવા છતાં આનંદલક્ષી બન્યો એનો સંતોષ મને થયો છે.... ને એ સ્પષ્ટ અનુભવાયું કે —

— ‘જયભિખ્ખુ’ પાસે સતત ચાલતી કલમ હતી.
— ‘જયભિખ્ખુ’ પાસે સતત સમૃદ્ધ બનતો સાહિત્યિક-સાંસ્કૃતિક આદર્શ હતો.
— એ જીવનધર્મી-જીવનમર્મી સર્જક હતા.
— ‘જયભિખ્ખુ’ સફળ શૈલીબળના સમર્થ સંચાલક હતા.
— આ બધું હતું અને ક્યાંક મર્યાદા પણ હતી, પણ એ મર્યાદાને યુગસંદર્ભ હતો.