પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધીરુભાઈ ઠાકર, કંચનભાઈ પરીખ, મુનિશ્રી ‘ચિત્રભાનુ', ધૂમકેતુ', ગોવિંદભાઈ પટેલ (પ્રભાત પ્રોસેસ સ્ટુડિયો), “જયભિખ્ખુ', છબીલદાસ દેસાઈ, શંભુભાઈ શાહ, મનુભાઈ જોધાણી, ગોવિંદભાઈ શાહ અને રતિલાલ દેસાઈ


દેવતાના ચરિત્ર પર શું શું નહીં વીત્યું હોય ! પણ આ વાતનો નિર્ણય તો કોઈ વિબુધ જન પર રાખવો ઉચિત છે.' આ કથનમાં જયભિખ્ખુ નવલકથાના પાત્ર સાથે જે તાદામ્ય સાધે છે તે સર્જકની નિષ્ઠા છે.

શાળાજીવનમાં નાટકમાં હેમુનું પાત્ર ભજવનાર જયભિખ્ખુએ ધૂળધોયાની જેમ હેમુની માહિતી પ્રાપ્ત કરીને 'વિક્રમાદિત્ય હેમુ' નવલકથા લખી એમાં વિક્રમાદિત્ય હેમુ યુદ્ધ સંદર્ભે કહે છે કે, 'સામ, દામ ને ભેદથી શત્રુ જીતી શકાતો હોય ત્યાં સુધી યુદ્ધ ન કરવું. કારણ કે યુદ્ધમાં વિજય અનિશ્ચિત છે. સૈન્યનો નાશ નિશ્ચિત છે. માટે કોઈ પણ ઉપાયથી લડાઈ દૂર રાખવી ને કરવી પડે તો વ્યૂહથી કરવી.” હેમુની આ વિચારધારા પડછે જયભિખ્ખુનો સંઘર્ષ કરતાં સંવાદિતા સાધવાનો ખ્યાલ નિહિત છે. છતાંય એમના મતે 'પ્રજામાં જુલમનો વિરોધ કરવાની શક્તિ વિકસાવવી અ પ્રજાના પ્રાણનો વિકાસ કહેવાય ? એ શક્તિ દરેક પ્રજાએ કેળવવી પડે.' જયભિખ્ખુ પુરુષાર્થના હિમાયતી રહ્યા હતા. એમને પુરુષાર્થની પ્રતિમા કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમનો હેમુ કહે છે – ‘વિધાતા પણ નમાલાઓને મદદ કરતી નથી.


૨૩
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ