પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૨ ]


૨.

મથુરામાં વિરજાનંદ નામના એક પ્રજ્ઞાચક્ષુ સંન્યાસી વસતા. એમના તરફથી ધર્મશાસ્ત્રોના અભ્યાસની એક શાળા ચાલતી. એ વિરજાનંદના પિતાનું નામ પંડિત નારાયણ દત્ત. પાંચ વર્ષની ઉંમરે વિરજાનંદને શીતળા નીકળ્યાં અને એની આંખો ગઈ: પંદર વર્ષની વયે એમના પિતા અવસાન પામ્યા અને એ નિરાધાર, નિરાશ્રિત બન્યા. અઢાર વર્ષની વયે એમણે પૂર્ણાનંદ સ્વામી પાસે સંન્યાસીની દીક્ષા લીધી અને તેમને ગુરૂ તરફથી વિરજાનંદનું નામ મળ્યું. આ સુરદાસ વેદના પ્રખર પંડિત મનાતા અને એટલે જ તેમને પ્રજ્ઞાચક્ષુનું ઉપનામ અપાયેલું. એક વખત અલ્વરના મહારાજાએ એમને શ્રી. શંકરાચાર્યના શ્લોકમંત્રોનું સ્તવન કરતા સાંભળ્યા. મહારાજા એ સાધુ ઉપર મુગ્ધ બની ગયા. તેમને અલ્વર પધારવા પ્રાર્થના કરી. વિરજાનંદ એક શરતે અલ્વર ગયા. શરત એમ થઇ કે મહારાજાએ સ્વામીજીની સાથે હમેશાં ત્રણ કલાક શાસ્ત્રાધ્યયન કરવા બેસવું. જે દિવસે એ શરતનો ભંગ થાય એ દિવસે સ્વામીજીએ અલ્વરના સીમાડા છોડી જવાનો આકરો નિયમ સ્થાપ્યો. મહારાજાએ ખૂબ કાળજીપૂર્વક સ્વામીજી પાસે નિયમસર બેસવા માંડ્યું. એક દિવસ અકસ્માત, મહારાજા નૃત્યગૃહમાં રોકાઇ ગયા અને સ્વામીજીની પાસે ન જઇ શક્યા. વિરજાનંદ રોષિત થયા. બીજે દિવસે મહારાજા આવ્યા ત્યારે પોતાનો નિર્ણય સંભળાવ્યો “રાજા, તેં તારો નિયમ તોડ્યો છે; હું મારો નહીં તોડું.” વિરજાનંદે અલ્વર છોડ્યું; અને ભરતપુર થઈ મથુરા આવી સંસ્કૃત પાઠશાળા સ્થાપી.

આ બાળ બ્રહ્મચારી સંન્યાસીને દ્વારે ૧૮૬૦ ના નવેમ્બરની ચૈાદમી રાત્રીએ દયાનંદ જઈને ઉભો. દ્વાર બંધ હતું. અંદરથી સવાલ આવ્યો :