તેજસ્વીતા જોઈ, તેની પાસે અંતર ઉઘાડી નાંખ્યું. અઢી વર્ષમાં દયાનંદ વેદશાસ્ત્ર પારંગત બની ગયા. ગુરૂ પાસેથી વિદાય માગવાની વેળા આવી પહોંચી. અકિંચન દયાનંદ બે હાથ જોડીને ગુરૂજી પાસે ઉભા અને ગુરૂજીને પ્રિય એવાં થોડાં લવીંગની ગુરૂદક્ષિણા વિરજાનંદજીને ચરણે ધરી. વિરજાનંદજીએ શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ દીધા અને નીચેનો સંદેશ આપ્યો.
“વત્સ, તારા શિક્ષણનો સદ્વ્યય કરજે. દેશમાં અંધકાર જામ્યો છે. લોકો સત્યાસત્યનો વિવેક ચૂક્યા છે. તેઓ જ્ઞાતિઓ અને વાડાઓના કંકાસમાં જીવન વીતાવે છે. આર્યાવર્તમાં અત્યારે વેદધર્મની અવહેલના થઇ રહી છે. બેટા, લોકોને એકેશ્વરનો સંદેશ આપજે, અને વેદધર્મ શીખવજે. પુત્ર તારો, જય થાઓ.”
ગુરૂના એ આશિર્વાદને માથું નમાવી દયાનંદ ચાલી નીકળ્યા. આટલાં વર્ષોની તપશ્ચર્યા પછી, આટલી સાધના અને શોધ પછી તેમને લાધેલા સત્યનો સંદેશ જગતને આપવા દયાનંદે પાછો ભારતવર્ષના જનપદોમાં પગ મૂક્યો. ગુરૂના એ આદેશને હિન્દુસમાજ સમક્ષ મૂકવા અર્થે દયાનંદે તેની બાકીની આખી જીંદગી અર્પણ કરી દીધી. ગુરૂવચનનું એ પાલન એ આજનો આર્યસમાજ, એ આજની હિન્દુ કોમની પુનર્જાગૃતિ, એ આજનો હિન્દુધર્મનો પુનરૂદય.
સરજનહાર સમાજનું પુનર્વિધાન કરવા કઠોરતાપૂર્વક એનો લોખંડી હથોડો ફેરવે છે; એવી જ કઠોરતાથી એના સંદેશવાહીઓને સમાજને ટીપી ટીપીને એનો નવો ઘાટ નાખવો પડે છે. હિન્દુ જાતિના ઉદ્ધારને માટે દયાનંદને દંભ અને દુરાચાર ઉપરના એના હુમલામાં કઠોર બન્યા વિના છુટકો