“આર્યાવર્તના આર્યો આંતરરાષ્ટ્રીય સવાલો ચર્ચવા અને
વેપાર ખેડવા જરૂર વિદેશને પ્રવાસે નીકળતા. આજે આપણે
માનીએ છીએ કે વિદેશગમનથી પવિત્રતા અને ધર્મનો લોપ
થાય છે. તે માન્યતા અજ્ઞાનજન્ય છે. પરદેશોના પ્રવાસથી માણસનાં
બુદ્ધિ અને ચાતુર્ય ખીલે છે, અને બીજા દેશની પ્રજાઓ
પાસેથી ઘણું ઘણું નવું જાણવાનુ મળે છે. બીજાઓ પાસેથી સદ્ગુણો
શીખવામાં પાપ હોઈ શકે જ નહિ. જે દેશ પરદેશગમન સામે
પ્રતિબંધ મૂકે અને એમ દેશના વેપારવાણિજ્યની પ્રગતિ
અટકાવે છે, તે દેશનો અધઃપાત થાય છે, તે દેશના માણસોના
લલાટમાં દીનતા અને દરિદ્રતા લખાયલી રહે છે. આપણી
સ્વાધીનતા, સમૃદ્ધિ અને સુખી દશાના વિનાશ માટે આવા
આવા ગાંડા વહેમો જ જવાબદાર છે.”
મહર્ષિજીએ હિન્દુ સમાજના જુવાન વર્ગનો શારીરિક, માનસિક અને નૈતિક અધઃપાત જોયો અને એના નિવારણ અર્થે બ્રહ્મચર્યનો આદર્શ બોધ્યો. મહર્ષિજીના એ બોધના પરિપાક સમા આર્યસમાજનાં શિક્ષણ-વિદ્યાલયોમાંથી અનેક બળશાળી બ્રહ્મચારીણી પાકી રહ્યા છે.
મહર્ષિજીએ સૈાથી છેલ્લી છતાં યે સૈાથી વિશેષ મહત્ત્વની વાત દલિતોદ્ધારની હાથ ધરી. તેમણે અંગ્રેજી ભાષાના જ્ઞાન વિના કે મેઝિની, ગેરીબાલ્ડીના સ્વાતંત્ર્યના સિદ્ધાન્તો સાંભળ્યા વિના, કે ફ્રેંચ વિપ્લવની કથા વાંચ્યા વિના, હિન્દુ સમાજને માટે સ્વાધીનતા, સર્વબંધુતા અને સમાનતાની ઘોષણા કરી. તેમણે હિન્દુ સમાજમાં ચાલી આવતી અંત્યજ - અસ્પર્શ્યતાનો સખ્ત વિરોધ કર્યો, શુદ્રોને, સ્ત્રીઓને અને અંત્યજોને સમાન ગણવાની હિમાયત કરી.
મહર્ષિજીની આર્યદૃષ્ટિએ શિક્ષણપ્રચારની અને આદર્શ શિક્ષણ-પ્રણાલી સ્થાપવાની જરૂરત પણ જોઈ લીધી. આજે