પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૮ ]


ગુરૂજીના સ્વભાવની ધખધખતી ભઠ્ઠીમાં અઢી વર્ષ સુધી તવાઇ તવાઇને એ કંચન નિર્મળ બની ગયું. રહ્યાં સહ્યાં પાપની પણ ભસ્મ થઈ ગઈ. અઢી વર્ષનો અભ્યાસ પુરો થતાં સ્વામીજીએ ગુરૂને ચરણે પડીને વિદાય માગી કે “મહારાજ ! મારાં રોમેરોમ આપને ધન્યવાદ દઇ રહ્યાં છે. આપે મને સાચું વિદ્યાદાન દીધું. હવે હું દેશાટન માટે આપની આજ્ઞા લેવા આવ્યો છું. હું આપને ગુરૂદક્ષિણામાં શું આપું? મારી પાસે રાતી પાઇ પણ નથી. આ ચપટી લવીંગ છે, તે આપના ચરણોમાં ધરૂં છું.”

દયાનંદના મસ્તક ઉપર શીતળ હાથ મેલીને ગુરૂજી ગદ્ગદ્ કંઠે બોલ્યા “બેટા, મેં તને બહુ જ સંતાપ્યો છે. હવે મને તારા સરખા તેજસ્વી અને સાગરપેટો શિષ્ય ક્યાં મળવાનો હતો ? જા બેટા ! તારી મંગળ કામનાઓ પૂરી થજો ! મારે તારી ગુરૂદક્ષિણા ન જોઇએ. ગુરૂદક્ષિણામાં હું ફક્ત એટલું જ માગી લઉં છું કે હે વત્સ, તું આ દુ:ખી ભારતવર્ષની સેવા કરજે.”

ગુરૂની મહત્તાનું રટણ કરતા દયાનંદ સંસારની રણવાટમાં ચાલી નીકળ્યો.

હજાર વર્ષ થયાં અબોલ બની ગયેલા ગંગાજીના કિનારાઓ ઉપર ફરીવાર શુદ્ધ વેદ-મંત્રો ગુંજી ઉઠ્યા છે, ઋષિ મુનિઓનો વારસદાર વીર દયાનંદ રાજપુતોનાં ગામડેગામડાં ચીરતો ઘુમે છે. ચાલીસ ચાલીસ, પચાસ પચાસ રજપુતો પંક્તિમાં ગોઠવાઇને ગંગા-તીરે ખડા થાય છે. એ તમામને યજ્ઞોપવિત પહેરાવતા દયાનંદજી ગાયત્રીના સિંહનાદ ગજાવે છે. અને કેટલોય કાળ વીત્યા પછી પહેલી જ વાર, સંસ્કૃતિ માતાનાં સ્તન પરથી દૂર ફેંકાયેલ, ધાવણાં, નિઃસહાય સંતાનો સરખી સ્ત્રીજાતિને આજે ગાયત્રી-જપ કરવાનો અધિકાર પણ મહર્ષિ દયાનંદે જ અર્પણ કર્યો.