'મહારાજ, એકલા એકલા આપ હસી કાં રહ્યા છો?' એક દિવસ ભક્તોએ પૂછ્યું.
'જુઓ, એક માણસ અહીં ચાલ્યો આવે છે. હમણાં તમને એનો તમાશો બતાવું.” સ્વામીજીએ જવાબ દીધો.
ત્યાં તો એક બ્રાહ્મણ મિષ્ટાન્ન લઈને આવી પહોંચ્યો, 'સ્વામીજી નમો નારાયણ ' કહીને એણે મિષ્ટાનની ભેટ ધરી.
સ્વામીજીએ કહ્યું, 'લ્યો, થોડું તમે પણ ખાઓ; હું પણ ખાઉં.'
પરંતુ પેલા માણસે મીઠાઈ ન લીધી. સ્વામીજીએ ત્રાડ મારીને કહ્યું, 'ખાઓ કેમ નથી ખાતા?'
બ્રાહ્મણ કાંપી ઉઠ્યો. એણે બે હાથ જોડ્યા. સ્વામીજીએ પાસે બેઠેલા એક કુતરાને બટકુ ખવરાવ્યું. તરત કુતરો ઢળી પડ્યો.
હસતા હસતા પોતાના ભક્તોને આ ઘટના બતાવીને પોતે બોલ્યા કે 'આટલા માટે હું હસતો હતો. આ વિષ- પ્રયોગ જોયો ?'
ભક્તો પોલિસને બોલાવવા ઉઠ્યા. સ્વામીજી કહે કે 'એ ન જ બને. જુઓ, એ બાપડો થરથરે છે એને એટલી સજા બસ થશે.'
બ્રાહ્મણને છોડી દેવામાં આવ્યો.
અમૃતસરમાં એક દિવસ એક પાઠશાળાના શિક્ષકે પોતાના નાની વયના વિઘાર્થીઓને શીખવ્યું કે 'ચાલો, સાંજે આપણે એક સ્થળે કથા સાંભળવા જવાનું છે. તમે તમારાં દફતરમાં ઇંટોના ટુકડા ભરી લો, ત્યાં હું ઇસારા કરું કે તૂર્ત જ તમે એ કથા કહેનારની ઉપર ઇંટોનો મારો