પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૫]

ચલાવજો. કાલે તમને લાડુ આપવામાં આવશે.'

એ કથાકાર મહર્ષિ દયાનંદ વિના બીજો કોણ હોય ? બાળકો સહિત ગુરૂજી કથામાં ગયા. સાંજ પડી અને અંધારું થયું કે તત્કાળ ગુરૂજીએ આજ્ઞાંકિત છોકરાઓને ઈશારત કરી. તત્કાળ સ્વામીજીના માથા પર ઈંટને વરસાદ વરસવા લાગ્યો. આખી સભા ખળભળી ઉઠી. પણ સ્વામીજીએ સૌને શાંત પાડ્યા, પોલિસના અધિકારીઓએ એ બાળકોમાંના કેટલાએકને પકડીને સ્વામીજીની પાસે હાજર કર્યા. પોલિસના પંજામાં સપડાયેલાં એ બટુકો ચોધાર રડતાં હતાં. ડુસકા ભરતાં ભરતાં તેઓએ કબુલ કર્યું કે 'અમારા ગુરૂજીએ અમને લાડુની લાલચ દઈને આ કૃત્ય અમારે હાથે કરાવ્યું હતું.'

સ્વામીજીએ એ જ પળે લાડુ મંગાવ્યા, બાળકોને વહેંચી દીધા અને કહ્યું કે “બચ્ચાઓ ! તમારા ગુરૂજી તો હવે કદાચ તમને લાડુ ન આપે, એમ સમજીને હું જ આપી દઉં છું ખાઓ, અને આનંદ કરો !'

એક વખત વ્યાખ્યાન ચાલી રહ્યું છે, ઇસ્લામના સિદ્ધાંતો ઉપર નિખાલસ દિલે શાંત ચર્ચા થાય છે. એવામાં એક તરૂણ મુસલમાન ત્રાડ દેતો ઉભો થઈ ગયો. તલવારની મૂઠ પર હાથનો પંજો પસારીને એ બોલ્યો, 'અય સ્વામી, મ્હોં સંભાળીને બોલજો, ખબરદાર અમારા ! ધર્મ વિષે એક કંઈ બોલ્યા છો તો !'

અત્યંત કોમલ સ્વરે સ્વામીજી બોલ્યા, 'બેટા ! તારા મ્હોંમાં તો હજુ દુધીઆ દાંત છે, જો હું તારી એવી ત્રાડોથી ડરતો હોત તો આટલું જોખમ શિર પર ઉઠાવીને શીદ ઘૂમત? બેસી જા, ભાઈ !'

લજ્જા પામીને યુવક બેસી ગયો.