પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬]
કલાપી
 

પામે છે એ સત્ય રૂપસુંદર અને મનોવેધક રીતે શીખવનાર કવિગુરુ અથવા ઋષિ (Prophet) તે વર્ડ્ઝવર્થ.

આ પ્રમાણે ઘડાઇ ઘડાઇને વૃદ્ધ થઈ ગયેલો તથાપિ અંગે અને બુદ્ધિમાં સશક્ત રહેલો જેવો વર્ડ્ઝવર્થનો 'વટેમાર્ગુ' છે, તેવો જ કલાપીનો 'ટેલિયો' છે. માર્ગરેટ-બાલાના જીવનની અતિ કરુણ ઘટનાને માટે એના હૃદયમાં દર્દ થઈ થઈને એ આખો ઇતિહાસ એને દુઃખરસનો ભરેલો તો એવો ને એવો રહ્યો છે, પણ એ દુઃખરસમાં હવે ખટક નથી; 'બિચારીને અહોહો! જુવોને માથે દુઃખનાં ઝાડ ઊગ્યાં,’ એ પ્રમાણેની અનુકંપા ખટકનું સ્થાન લે છે અને તીવ્ર ખટકને બદલે આ સરલ અને શાન્ત, અને મૃદુલ વહેતી અનુકંપાસારિત વર્ણનને સુન્દરતા અર્પે છે. વળી વિધિનો ખેલ એવો! એ પ્રકારની દૃષ્ટિનો કોમળ પ્રકાશ એ અનુકંપાસરિત ઉપર એક સરખો પડે છે. પરંતુ કલાની આવી નાજુક સર્જકતા આગળ પૃથક્કરણ અને સમજૂતી વૃથા કાલક્ષેપ છે.

કલાકારની સ્વતંત્રતાનું મા૫ આંકતાં એક મુશ્કેલી એ આવે છે કે, કલામાં પસંદગીની શક્તિ જેટલી નવું યોજવામાં જોઈએ, તેટલી જ જુદે જુદે સ્થળેથી બીજાના અંશો પોતાના કરવામાં જોઈએ, અને તેટલી જ પસંદ કરેલ અંશોમાંથી પણ ઘણું ત્યજવામાં જોઇએ. સામાન્ય દુનિયા, માત્ર ત્યજી દીધું છે, માત્ર પસંદ કર્યું છે, એમ કહી એ બંને પ્રવૃત્તિઓ ઉપર પોતાના હલકા અભિપ્રાયની છાપ ઠોકે છે; અને એથી ઊલટું, નવું યોજ્યું હોય તે પ્રવૃત્તિને હદથી વધારે માન આપે છે. નવું જોડેલું નવું જોડાયું તેથી વખાણ લાયક નથી હોતું, યોગ્ય જોડાયું હોય તો જ વખાણ લાયક હોય છે; અને યોગ્યાયોગ્ય વિવેચકશક્તિ બીજી બે પ્રવૃત્તિઓમાં ય એટલી જ મહત્વની છે.

વર્ડ્ઝવર્થ સાથે ઉપર ટાંકેલી પંક્તિઓ જ નહિ, પણ આખી કૃતિ મેળવી જોતાં, મૂળમાં નથી એવું 'ટેલિયા'માં ભાગ્યે કંઈ પણ