પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪ ]
કલાપી
 


તેમણે ઘણું વાંચ્યું હતું અને લખ્યું પણ ઓછું નથી. કવિતા, નવલકથા, સંવાદ, પ્રવાસવર્ણન, પત્રલેખન અને સાહિત્યનાં વિવિધ સ્વરૂપમાં તેમણે સફળતાપૂર્વક સતત લેખની ચલાવી હતી.

કવિ, લેખક, વીરપ્રણયી, ઉદાર મિત્ર, દયાળુ રાજ્યકર્તા અને વિશાળ દૃષ્ટિના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના સતત અભ્યાસી ઉપરાન્ત કલાપી સાહસિક, સૌંદર્ય પરીક્ષક અને વિચારશીલ પ્રવાસી હતા.પણ સૌથી વધારે યાદ રાખવા લાયક એ છે કે કલાપી એક જીવંત વ્યક્તિ હતા અને સનમના સાચા શોધક હતા.

કલાપીનું વ્યક્તિત્વ તેમના પત્રોમાંથી ખાસ જાણી શકાય છે; છતાં કલાપીના હૃદયનું વર્ણન તો તેમણે પોતે જ માત્ર બે પંક્તિમાં બરાબર આપી દીધું છેઃ

હતું તેનું હૈયું કુસુમ સરખું કામળ અને,
હતો તેમાં દૈવી પ્રયણરસ મીઠો ટપકતો.

હૃદય આવું કોમળ હોવા છતાં કલાપી જાતે, અત્યારના કોઈ શહેરી યુવક કવિ જેવા, કોમળ ન હતા. તે કદાવર અને બલવાન કાયાવાળા ક્ષત્રિય હતા, અને ગીરના સિંહની ભેટ લેવા માટે છેક તુલસીશ્યામ જતાં એક વખત જંગલમાં સંગાથ છોડી દઈને, એકલા નીકળી પડ્યા હતા.[૧] 'પેપર ચેઝ'ની રમતમાં ૨૪ માઈલ દોડીને ૨૦ મિનિટ અગાઉથી મોકલેલા જમાદાર અને બે સવારને પકડ્યા હતા. [૨]દોડવાની કસરત તે નિયમિત રીતે કરતા, અને તેમના નાના ભાઈ વિજયસિંહજીને પણ આ કસરત કરવાની સલાહ એક પત્રમાં આપી છે. ઘોડેસવારીનો તેમને ઘણો શોખ હતો અને ૨૪ માઈલ દોડ્યા પછી ત્રીસ માઈલની ઘોડેસવારી કરવામાં તેમને આનંદ આવતો.

બહારની રમતમાં ટેનિસ અને ઘરની રમતમાં શેતરંજ તેમને બહુ પ્રિય હતી.


  1. ૧ કલાપી પરિચય, ભાનુશંકર ઓઝા (કલાપી સ્મારક અંક: કૌમુદી)
  2. ૨ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૧૫૦-૩ એજન પૃ.૪૭૨.