પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજકુમાર કૉલેજમાં
[૧૫
 

સાહિત્યના સારા અભ્યાસી હતા. તેમના પરિચયથી કલાપીને શેલી, વર્ડ્ઝવર્થ વગેરે અંગ્રેજી કવિઓનાં કાવ્યોનો સારો અભ્યાસ થયો, જેનું પરિણામ તેમનાં કાવ્યમાં પણ દેખાય છે. આ જોશી માસ્તર ઉપર કલાપીએ જગન્નાથપુરીથી તા. ૨૨-૧-૧૮૯૨ના રોજ એક પત્ર લખ્યો હતો, જે ' કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' એ નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

સુરસિંહજીએ ઇ.સ. ૧૮૯૧માં કૉલેજ છોડી.તેમની આંખો ખરાબ હતી, એ તેમણે કોલેજ વહેલી છોડી તેનું એક કારણ હતું. તેમને આંખમાં ખીલ હતા, અને તે માટે ઈ. સ. ૧૮૮૭ ના ઉત્તરાર્ધમાં તે આંખોની દવા કરાવવા માટે મુંબઈ ગયા. ત્યાં ચર્નીરોડ સ્ટેશનની સામે આવેલા સર આદમજી પીરભાઈ સેનિટેરિયમમાં, મહેમાન માટે અલગ રાખવામાં આવતો હતો તે ભાગમાં, તે રહ્યા હતા. મુંબઈના આ નિવાસ દરમ્યાન જાની માસ્તર તેમની સાથે હતા. તેમની સારવાર તે સમયના સુવિખ્યાત આંખના દાક્તર મૅકૉનૉકી કરતા હતા. મુંબઈના આ નિવાસ દરમ્યાન કલાપીને શ્રી. મૂળચંદભાઈ શાહ જે એલિફન્સ્ટન કૉલેજ હોસ્ટેલમાં રહેતા હતા તેમને વારંવાર મળવાનું થયું હતું, અને સર આદમજી પીરભાઈના મિત્રો સાથે પણ તેમને મૈત્રીસંબંધ બંધાયો

શ્રી. મૂળચંદભાઈ એ તેમનાં સંસ્મરણમાં આ સમયે કલાપી મુંબઈમાં લગભગ ચાર માસ રહ્યા હતા એમ લખ્યું છે. પણ કલાપીના પત્ર વાંચતાં તે સાત મહિના રહ્યા હતા એમ લાખ્યું છે. બીજી વખત આંખની દવા કરાવવા ૧૮૯૦ના ઑગસ્ટમાં તેમણે નિશ્ચય કર્યો ત્યારે લખ્યું હતું: 'આ વખતે હું ગઈ વખતની માફક સાત માસ મુંબઈમાં રહીશ નહિ, કારણ કે મારો જીવ લાઠીમાં છે. મારું જે કામ છે તે થયું, એટલે મુંબઈમાં એક મિનિટ રહીશ નહિ.'

તેમનું મુંબઈમાંનું કામ દવા કરાવવાનું હતું એ તો ખરું જ,