પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આર્યાવર્તનો પ્રવાસ
[૩૧
 


૬ઠ્ઠી તારીખે કલકત્તા પહોંચ્યા. અહીં આઠ દિવસનો મુકામ કર્યો. તે દરમ્યાન ઇડન ગાર્ડન, ઝૂ, મ્યુઝિયમ, હુગલીનો પૂલ, કાલીનું મંદિર વગેરે સ્થળો જોયાં. અહીં એક પ્રખ્યાત જમીનદાર દામોદરદાસ ઉર્ફે રાજા બહાદુર સાથે મૈત્રી થઈ અને કલાપી અને અન્ય સંગાથીઓને તેમણે પોતાને ત્યાં જમવા માટે નોતર્યાં. કલાપીએ અહીંથી છબી પાડવાનો સામાન ખરીદ્યો અને છબી પાડતાં શીખવાનું શરૂ કર્યું.

૧૫મી તારીખે કલકત્તાથી નીકળી કલકત્તા સ્ટીમ નેવિગેશન કંપનીની સ્ટીમર મારફત ૧૮મી એ કટક પહોંચ્યા. અને ત્યાંથી પ૩ માઈલની જગન્નાથપુરીની મુસાફરી બે ઘોડાની ગાડીમાં કરી. ઠેકેદારે વચ્ચે વચ્ચે નવાં ઘોડાં તૈયાર રાખ્યાં હતાં, તે બદલવા છતાં સવારમાં વહેલા નીકળેલા પ્રવાસીઓ રાતના દસ વાગ્યે પુરી પહોંચ્યા. રસ્તો ઘણો કંટાળા ભરેલો લાગ્યો. કારણ ચાર વખત તો નદીઓમાંથી પસાર થવું પડ્યું. આ વખતે ગાડીઓને બળદ જોડવામાં આવતા હતા, અને સંખ્યાબંધ મજૂરોને પણ ખેંચવાના કામમાં રોકવા પડતા હતા.

જગન્નાથપુરીથી સ્ટીમર મારફત મદ્રાસ જવાનો કાર્યક્રમ હતો. પણ સ્ટીમર મળતાં વાર થવાથી પુરીમાં છ દિવસ રોકાઈ રહેવું પડ્યું. આ સમય દરમ્યાન વારંવાર જગન્નાથજીનાં દર્શન કરી આપણાં યાત્રીઓએ સમયનો સદુપયોગ કરવા યત્ન કર્યો.

જગન્નાથપુરીથી દરિયાઈ મુસાફરી શરૂ થઈ જે બધાને જ માટે નવી હતી. સ્ટીમર ગોઆલપરા ૨૭મી તારીખે પૂરી આવી અને સૌ મદ્રાસ જવાને માટે બહુ આતુર હતા એટલે તુરત જ જગ્યા મેળવી લીધી. ગોપાલપુર, વિઝાગાપટ્ટમ, કોકોનાડા, મસલીપટ્ટમ વગેરે બંદરોએ અટકતી અટકતી સ્ટીમર બીજી ફેબ્રુઆરીએ મદ્રાસ પહોંચી. છ રાત અને છ દિવસ દરિયાઈ મુસાફરી કરવા છતાં સૌની તબિચત સારી રહી, કારણ મસલીપટ્ટમ અને મદ્રાસ વચ્ચેની થોડા